તા.૨૯/૧૧/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: રાજ્ય સરકાર દ્વારા સંચાલિત ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમ મહિલાઓની મદદ માટે સતત કાર્યરત છે, ત્યારે રાજકોટ શહેર ખાતે ૧૮૧ મહિલા હેલ્પલાઇન પર કોલ આવતા સગીરાની મદદ માટે અભયમ ટીમના કાઉન્સિલર શ્રી સુમિતા પરમાર, કોન્સ્ટેબલશ્રી મયુરીબેન અને ડ્રાઈવર શ્રી સાહિલભાઈ સહિત ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
ટીમે સગીરાનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું કે, સગીરા ઘરેથી ગુસ્સામાં નીકળી ગઈ હતી તેમજ ઘરેથી નીકળી જવાનું કારણ તેણીને સોશિયલ મીડિયાના માધ્યમથી એક યુવક સાથે મિત્રતા થઈ અને તેણી એ મિત્ર સાથે સતત સંપર્કમાં પણ રહેતી હતી. તેણીને તે મિત્ર સાથે લગ્ન કરવા હતા પરંતુ, સગીરાના માતાપિતા લગ્ન આ માટે સહમત ન હતા. આ માટે સગીરાના માતા પિતાએ પોલીસની મદદ લીધી ત્યારે પોલીસે સગીરાને લગ્ન વિષયક કાયદાકીય માહિતી આપી સમજાવ્યું હતું. પરંતુ ઘરે પહોંચતા જ માતા પિતાને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી.
ટીમે સગીરાના મિત્રને બોલાવીને તેનું પણ શાંતિ પૂર્વક કાઉન્સિલિંગ કરતા જણાવ્યું કે, હાલ બંનેની લગ્ન માટે ઉંમર કાયદાકીય દૃષ્ટિએ નાની હોવાથી તેઓને કાયદાકીય માહિતી આપી હતી. તેમજ હાલ તેઓ બંનેએ પોતપોતાની કારકિર્દી બનાવવા, ભવિષ્યના ઘડતર અને આત્મનિર્ભર બનવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આમ, અભયમ ટીમે ખુબ જ ધીરજપૂર્વક બંનેને જીવન જીવવાની સાચી દિશા બતાવી હતી.