Rajkot: કોટડા સાંગાણી તાલુકાના ભાડવા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો
તા.૮/૧૨/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
સર્વ સમાવેશી અભિગમથી તમામને યોજનાકીય સહાય પહોંચાડી વિકાસની મુખ્ય ધારામાં સામેલ કરીને જ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરી શકાશે., મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા
Rajkot: ભારત સરકાર તથા રાજય સરકારની વિવિધ યોજનાઓના લાભો વંચિત નાગરિકો સુધી પહોંચે તે હેતુથી દેશભરમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” આયોજીત કરવામાં આવી છે, જેના અનુસંધાને રાજકોટ જિલ્લામાં કોટડાસાંગાણી તાલુકાના ભાડવા ગામમાં યોજાયેલ કાર્યક્રમમાં રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા ઉપસ્થિત રહ્યા હતાં.
મંત્રીશ્રીએ ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ સરકારી યોજનાઓનો લાભ તમામ જરૂરિયાતમંદો સુધી પહોંચે તે માટે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વિકાસના ફળ ગામડા સુધી તેમજ ગરીબ, વંચિત, પીડિત, અવગણીત વ્યક્તિઓ, તમામ સુધી પહોંચેતે માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર સતત પ્રયત્નશીલ છે. સર્વ સમાવેશી અભિગમથી તમામને ગરીબી અને અભાવથી મુક્ત કરી વિકાસની મુખ્ય ધારામાં સામેલ કરીને જ વિકસિત ભારત ના સંકલ્પને સાકાર કરી શકાશે.
મંત્રીશ્રીએ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા તમામે વિકાસયાત્રાનું સુકાન લઈ પોતે કેવી રીતે વિકસિત ભારત બનાવવા માટે પ્રદાન કરી શકે તે વિચારી પુરુષાર્થ કરવા પ્રેરિત કર્યા હતા, ઉપરાંત તેઓશ્રીએ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અંતર્ગત વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની રૂપરેખા આપી હતી તેમજ યાત્રા દ્વારા ઘરઆંગણે આવેલ રાજ્ય અને કેન્દ્ર સરકારની સંખ્યાબંધ યોજનાઓનો લાભ અને માર્ગદર્શન માટે સ્ટોલની મુલાકાત લેવા ગ્રામજનોને અપીલ કરી હતી. આ પ્રસંગે મંત્રીશ્રીએ ગામમાં સીસીટીવી માટે ગ્રાન્ટ આપવાની જાહેરાત પણ કરી હતી.
દિપપ્રાગટ્ય દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. મહાનુભાવોનું ગામની દીકરીઓ તેમજ ગામના વડીલોના હસ્તે સ્વાગત કરવામાં આવ્યું હતું. દૃશ્ય શ્રાવ્ય માધ્યમથી પ્રધાનમંત્રીશ્રીનો સંદેશ તેમજ વિકસિત ભારત સંકલ્પ યાત્રાની ડોક્યુમેન્ટરી પ્રદર્શિત કરવામાં આવી હતી. શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા દેશ-ભક્તિને લગતાં ગીતો પર નૃત્ય રજૂ કરાયું હતુ. મહાનુભાવો તેમજ ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ પ્રતિજ્ઞા લીધી હતી. મહાનુભાવોના હસ્તે ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામીણ, આયુષ્માન ભારત યોજનાના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ઉપરોક્ત લાભાર્થીઓએ મેરી કહાની મેરી જુબાની અંતર્ગત પોતાને મળેલ લાભની વાત રજૂ કરી હતી.
આ કાર્યક્રમમાં વિવિધ યોજના અંગે માર્ગદર્શન અને અરજી માટે આધાર કાર્ડને લગતી સુવિધાઓનો સ્ટોલ, ઉજવલા યોજના, પશુપાલન લોન અને કિસાન ક્રેડિટ કાર્ડ, આયુષ્માન કાર્ડ, મારું ગામ ટીબી મુક્ત ગામ અંતર્ગત ટીબી ટેસ્ટ સ્ટોલ, બેન્કને લગત પ્રધાનમંત્રી જીવન જ્યોતિ, જીવન સુરક્ષા વીમા યોજના, જન ધન અકાઉન્ટ, અટલ પેન્શન યોજના,મુદ્રા યોજનાનો લાભ મેળવવા માટે બેન્કનો સ્ટોલ, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, ગંગા સ્વરૂપા,નિરાધાર વૃદ્ધ અને દિવ્યાંગ સહાય યોજના, વય વંદના યોજના માટેના સ્ટોલ તૈયાર કરવામાં આવ્યા હતા તેમજ આઇ.સી. ડી.એસ. અંતર્ગત મિલેટસ વાનગી પ્રદર્શન, આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તકે સરપંચશ્રી રેખાબેન ગજેરા, તાલુકા પંચાયતના હોદ્દેદારો તેમજ સદસ્યો,જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, આઈ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઓફિસરશ્રી સાવિત્રી નાથજી, ટી.ડી.ઓશ્રી રિદ્ધીબેન પટેલ, મામલતદારશ્રી વી.બી. જાડેજા, ગામના આગેવાનશ્રી રાઘવેન્દ્રસિંહજી, ગુમાનસિંહજી સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.