તા.૨૨/૧૨/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
તમામ નાગરિકો સ્વમાનભેર જીવન જીવી શકે અને આત્મનિર્ભર બને તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે, મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા
Rajkot, Jasdan: દરેક જરૂરિયાતમંદ નાગરિક સુધી સરકારશ્રીની વિવિધ યોજનાના લાભો પહોંચાડી તેમને વિકાસની મુખ્ય ધારામાં સામેલ કરી શકાય તેવા હેતુથી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંતર્ગત ગામોગામ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત જસદણ તાલુકાના પાંચવડા ગામમાં રાજ્યના બાવળીયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે મંત્રીશ્રીએ ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, જાણકારીના અભાવે છેવાડાના માનવી સુધી યોજનાઓનો લાભ પહોંચતો ન હોય તો તેમના સુધી જઈને યોજનાનો લાભ અપાવવા માટે આ “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” યોજવામાં આવી રહી છે. કોઈને આધારે રહેવું ન પડે અને તમામ નાગરિકો સ્વમાનભેર જીવન જીવી શકે અને આત્મનિર્ભર બને તે માટે સરકારશ્રી દ્વારા વિવિધ યોજનાઓ દ્વારા સહાય પૂરી પાડવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ દ્વારા ખેડૂતોને ત્રણે વખત પાકના વાવેતર માટે મદદરૂપ થવા સહાય રકમ ત્રણ હપ્તામાં ખેડૂતોને સીધી તેમના ખાતામાં જમા આપવામાં આવે છે.ગરીબ પરિવારોને માંદગી કે અકસ્માત વખતે વ્યાજે પૈસા લેવા ન પડે કે કોઈ આગળ હાથ લંબાવવો ન પડે તે માટે આયુષ્માન કાર્ડ અંતર્ગત ૧૦ લાખ સુધીની નિ:શુલ્ક સારવાર પૂરી પાડવામાં આવે છે. ગરીબ કલ્યાણ અન્ન યોજના દ્વારા જરૂરિયાતમંદોને વિના મૂલ્યે અનાજ પૂરું પાડવામાં આવી રહ્યું છે. બાળકીઓ અને ધાત્રી માતાઓના પોષણ માટે સરકાર પોષણ કીટ પૂરી પાડી રહી છે. આ ઉપરાંત મંત્રીશ્રીએ આગેવાનો તેમજ અધિકારીઓને જરૂરિયાતમંદ લોકોને શોધી તેમને યોજનાઓનો લાભ અપાવવા અપીલ કરી હતી.
મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા તેમજ મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. ગામના આગેવાનોએ હાર પહેરાવી મંત્રીશ્રીને આવકાર્યા હતાં. ગામની બાળકીઓ દ્વારા સ્વાગત નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું તેમજ બાળાઓએ પુષ્પ ગુચ્છથી મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંતર્ગત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. લાભાર્થીઓએ ‘મેરી કહાની મેરી જુબાની’ અંતર્ગત પોતાને મળેલ લાભની રજૂઆત કરી હતી. ઉપરાંત, ગ્રામ પંચાયતને વાસ્મો અંતર્ગતની નિભાવણી અને મરામત માટે એફ.ડી. રૂ.૧.૦૨ લાખની ફાળવણી મંત્રીશ્રીના હસ્તે સોંપવામાં આવી હતી. કાર્યક્રમ અંતર્ગત ખેતરમાં ડ્રોન નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. વાસ્મોના શ્રી વિપુલભાઈ ડેરવાળીયાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.
આ પ્રસંગે તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, ગામના સરપંચશ્રી, અગ્રણીશ્રી ભાવેશભાઈ વેકરીયા, હરેશભાઈ કરછી, મનસુખભાઈ જાદવ, અધિક કલેક્ટરશ્રી રાજેશ આલ, મામલતદારશ્રી મિલન રાજ્યગુરુ, તાલુકા હેલ્થ ઓફિસ સી. કે. રામ, મદદનીશ તાલુકા વિકાસ અધિકારીશ્રી જયભાઈ વાણિયા, અન્ય સંબંધિત અધિકારીશ્રીઓ, ગામના આગેવાનો, શાળાના શિક્ષકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.