તા.૧/૧/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
૧૨૦૦થી વધુ ગ્રામજનોએ આરોગ્ય શિબિરનો લાભ લીધો:ડ્રોન નિદર્શન કરાયુ
Rajkot, Jasdan: ભારત સરકાર અને રાજ્ય સરકારશ્રીની વિવિધ યોજનાનો લાભ લોકો સુધી પહોંચે તે માટે રાજ્યભરના ગામોગામ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ રથના આગમન થઈ રહ્યા છે. જસદણ તાલુકાના સાણથલી ગામ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ રથનું આગમન થતાં ગ્રામજનોએ હરખભેર સ્વાગત કર્યું હતું. આ તકે પી.એમ.ઉજ્જ્વલા, આયુષ્માન કાર્ડ સહિતના યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નિ:શુલ્ક આરોગ્ય કેમ્પ યોજાતા આશરે ૧૨૩૬ જેટલા ગ્રામજનોએ લાભ લીધો હતો. સરકારશ્રીની આયુષ્માન ભારત અને અન્ય યોજનાનો લાભ મેળવનાર લાભાર્થીઓએ ‘મેરી કહાની મેરી જુબાની’ અંતર્ગત સરકારની કલ્યાણકારી યોજનાથી થયેલા લાભ અંગે પોતાની ગાથા રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં ડ્રોન નિદર્શન, સોઈલ હેલ્થ કાર્ડનું પ્રદર્શન અને કુદરતી ખેતી કરતા ખેડૂત સાથે વાર્તાલાપ યોજાયો હતો.
સાણથલી ગામમાં ૧૦૦ ટકા આયુષ્માન કાર્ડ નીકળ્યા છે તેમજ ગામ પંચાયતોમાં જલજીવન મિશન તેમજ જમીનના રેકોર્ડનું ડિજીટાઈઝેશન ૧૦૦ ટકા પૂર્ણ થયું છે. તેમજ હર ઘર જલ મિશનની ૧૦૦% કામગીરી બદલ તેને અભિનંદન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા તથા સ્થાનિક રમત ગમતની વ્યક્તિઓને સન્માનિત કરાયા હતા. આ અવસરે લોકોએ દેશની એકતા, અખંડિતતા અને પ્રભુતા જાળવી રાખવા સાથે દેશને ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવા માટે પુરુષાર્થ કરવાનો સંકલ્પ લીધો હતો.
આ કાર્યક્રમમાં સાણથલી ગામના અગ્રણીશ્રીઓ, આરોગ્ય વિભાગ, આઈ.સી.ડી.એસ., મહેસુલ વિભાગ સહીત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.