તા.૧૬/૧/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot, Dhoraji: કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ પાત્રતા ધરાવતા નાગરિકો સુધી પહોંચાડવા માટે આયોજિત “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં ભાદાજાળીયા અને પીપળીયા ગામે પહોંચી હતી, જ્યાં ગ્રામજનોએ સંકલ્પ યાત્રાનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.
આ કાર્યક્રમમાં બંને ગામમાં આરોગ્ય વિભાગ દ્વારા યોજાયેલા હેલ્થ કેમ્પમાં ૧૦૫૮થી વધુ ગ્રામજનોનું વિનામૂલ્યે હેલ્થ સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. ડ્રોન નિર્દશન, પશુ આરોગ્ય કેમ્પ, સરકારની કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપતા સ્ટોલ પણ આ તકે પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓનાં લાભાર્થીઓને સહાય વિતરણ તથા ગામની સશકત કિશોરી, તેજસ્વી વિદ્યાર્થીઓ, રમતવીર, સ્થાનિક કલા કારીગરને પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા.
“ધરતી કહે પુકાર કે” નાટ્ય કૃતિ તથા જૈવિક ખેતી કરતા ખેડૂતો સાથેના વાર્તાલાપ થકી ખેડુતોને માર્ગદર્શન આપી પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રોત્સાહીત કર્યા હતા. “મેરી કહાની, મેરી જુબાની” થીમ અન્વયે યોજનાકીય લાભ મેળવેલ લાભાર્થીઓએ સરકાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો પ્રજાજોગ વિકસિત ભારત સંકલ્પ અન્વયેનો રેકોર્ડ કરેલો સંદેશો સાંભળી લોક કલ્યાણકારી યોજનાઓનાં લાભાર્થીઓનાં પ્રતિભાવો દર્શાવતી શોર્ટ ફિલ્મ નિહાળી હતી. ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા શપથ ગ્રહણ કર્યા હતા.
આ કાર્યક્રમમાં ધોરાજી તાલુકા પંચાયત પ્રમુખશ્રી રવિભાઈ વડાલીયા, ભાદાજાળીયા સરપંચશ્રી સોનલબેન પાઘડાર, પીપળીયા ગામના સરપંચશ્રી રાજુભાઈ કોટડીયા, ઉપસરપંચશ્રી ચંદ્રેશભાઇ વાઘાણી, ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ, આગેવાનશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રી કે.સી. સરતેજા, મદદનીશ તાલુકા વિકાસ અધિકારીશ્રી આર.વી.ગોહિલ, વિસ્તરણ અધિકારીશ્રીઓ ધર્મેન્દ્રભાઈ મહેતા, જયરાજસિંહ જાડેજા સહીત પશુપાલન વિભાગ, આરોગ્ય વિભાગ, ખેતીવાડી વિભાગ, આઈ.સી.ડી.એસ., બેંક, મહેસુલ વિભાગ સહિતનાં સંબધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.