આણંદ ઘી, તેલ અને પનીર સહિત અનેક ખાદ્ય નમૂનાઓ નિકળ્યા સબસ્ટાન્ડર્ડ, 13 વેપારીઓ સામે કાર્યવાહી

આણંદ ઘી, તેલ અને પનીર સહિત અનેક ખાદ્ય નમૂનાઓ નિકળ્યા સબસ્ટાન્ડર્ડ, 13 વેપારીઓ સામે કાર્યવાહી
તાહિર મેમણ – આણંદ – 11/03/2025 – આણંદ જિલ્લાના ફૂડ સેફ્ટી વિભાગે ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ સામે મોટી કાર્યવાહી કરી છે. વિભાગે અગાઉ લીધેલા વિવિધ ખાદ્યપદાર્થોના નમૂનાઓની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. તપાસમાં દેશી ઘી, પનીર, બરફી, મસ્ટર્ડ ઓઇલ, સોયાબીન ઓઇલ અને મિનરલ વોટર જેવી અનેક વસ્તુઓના નમૂના સબસ્ટાન્ડર્ડ અને મિસબ્રાન્ડેડ જાહેર થયા છે. આ મામલે 13 જવાબદાર વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી માટે આણંદના એજ્યુડિકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટરની કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.
જવાબદાર વેપારીઓમાં ન્યુ બિલ સાગર એક્સપોર્ટના બરસાના પ્યોર દેશી ઘી, પ્રિહેમ રિટેલનું મિલ્કેન મલાઈ પનીર, દિવ્ય પ્રજા વસ્તુ ભંડારનું રિધમ પ્રિમિયમ ઘી, એમ.એસ. માવાવાલાની સ્વીટ બરફી, બાલાજી ટ્રેડર્સનું ગોકુલ મસ્ટર્ડ ઓઇલ સામેલ છે. આ ઉપરાંત ફ્યુચર રિટેલ લિમિટેડનું ફ્રેશ એન્ડ પ્યોર કાવ ઘી, જમ્બેશ્વર એગ્રોનું વૈના મિનરલ વોટર અને વિવિધ કંપનીઓના સોયાબીન ઓઇલના નમૂના પણ નિયત ધોરણો મુજબ ન હોવાનું જાહેર થયું છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, આણંદના ડેઝિગ્નેટેડ ઓફિસરે જણાવ્યું કે આ તમામ વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.





