વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા
ઉજવણી…ઉજ્જ્વળ ભવિષ્યની : શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩
મહીસાગર જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યા રોયણીયા પ્રાથમિક શાળા અને રાઠડાબેટ પ્રાથમિક શાળા ખાતેથી ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવ્યો
કલેક્ટરના વરદ હસ્તે બાળકોને તિલક કરી કીટ આપી ઉત્સાહ સાથે આવકારવામાં આવ્યા
આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ-૧ના બાળકોને શાળામાં પ્રવેશ અપાયો
આજ રોજ કન્યાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩નો શુભારંભ થયો છે. આ શ્રેણીમાં મહીસાગર જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યા કડાણા તાલુકાના રોયણીયા પ્રાથમિક શાળા અને રાઠડાબેટ પ્રાથમિક શાળા ખાતેથી ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો.
શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ના શુભારંભ પ્રસંગે કલેક્ટર ભાવિન પંડ્યાએ ભૂલકાઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, શાળા પ્રવશોત્સવ થકી નાના બાળકોને પ્રવેશ આપી તિલક કરી પુસ્તક આપી તેની જિંદગીને યાદગાર બનાવવાનો પ્રયાસ છે અને એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તેની તકેદારી રાજ્ય સરકાર લઈ રહી છે
વધુમાં કલેકટર જે બાળકોએ આજે પ્રવેશ મેળવ્યો તે બાળકોને જીવનમાં ભણી ગણી ખૂબ આગળ વધે અને માં બાપનું અને ગામનું નામ રોશન કરે તેવી શુભકામનાઓ આપી
આ પ્રસંગે મહાનુભાવોના વરદ હસ્તે કીટ આપી ઉત્સાહ સાથે બાળકોને આવકારવામાં આવ્યા હતા. શાળા પ્રવેશોત્સવ દરમિયાન કલેક્ટર દ્વારા શાળામાં ભણતા વિદ્યાર્થી જે જેઓ પેહલા નંબર લાવ્યા હોય તેમને નોટબુક આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શાળા પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેકટરએ એસ.એમ.સીના સભ્યો સાથે બેઠક કરી કામગીરી બાબતે સમીક્ષા કરી હતી.
શાળા પ્રવેશોત્સવ દરમિયાન રોયણયા પ્રાથમિક શાળા આંગણવાડીમાં -૦૩ બાળકો, બાલવાટિકામાં -૧૫ બાળકો અને ધો-૧માં -૧૨ બાળકોએ પ્રવેશ મેળવ્યો અને રાઠડાબેટ પ્રાથમિક શાળા ખાતે આંગણવાડીમાં -૦૫ બાળકો, બાલવાટિકામાં -૧૨ બાળકો અને ધો-૧માં -૧૧ બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો.