વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં વઘઈ ખાતે ભાદરવા સુદ અગિયારસનાં પવિત્ર દિવસે જળ ઝીલણી એકાદશીની ઉજવણી ભક્તિભાવપૂર્વક કરવામાં આવી હતી.દર વર્ષની જેમ આ વર્ષે પણ કૃષ્ણ ભક્તો દ્વારા ઈષ્ટદેવ શ્રીકૃષ્ણ ભગવાનની પરંપરાગત રીતે પૂજા-અર્ચના કરવામાં આવી હતી.
નાની વઘઈ ખાતે આવેલા શ્રી રામના દૂત તડકેશ્વર હનુમાન દાદાના સાનિધ્યમાં અંબિકા નદીના કિનારે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો એકત્ર થયા હતા.અહી ‘જય શ્રી કૃષ્ણ’ના નારા સાથે ભક્તોએ અત્યંત ઉમંગપૂર્વક ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિને પવિત્ર અંબિકા નદીના જળમાં ઝુલાવી હતી.ત્યારબાદ ભગવાનને સુંદર શણગાર કરવામાં આવ્યો હતો. ધૂપ, દીપ, મેવા અને મીઠાઈનો પ્રસાદ ધરાવીને પૂજા-અર્ચના કરવામાં આવી હતી.આ અવસરે ભાવિક ભક્તોએ સામૂહિક પૂજામાં ભાગ લીધો અને મંગલમય જીવન માટે ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરી દર્શનનો લાભ લીધો હતો.આ પવિત્ર પ્રસંગે ભજન-સત્સંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં કૃષ્ણ ભક્તો ભજનોની સુરાવલીમાં લીન બનીને નૃત્ય કરતા જોવા મળ્યા હતા અને કૃષ્ણ ભક્તિમાં તરબોળ થઈ ગયા હતા..