સરકારે લોકોને સોશિયલ મીડિયામાં ફેલાતા જુઠથી દુર રહેવા જણાવ્યું
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને સરકારી એજન્સીઓ દ્વારા જારી કરાયેલ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરનું પાલન કરો
જમ્મુ અને કાશ્મીર સરકારે ટ્વીટ મારફતે એક જાહેર યાદી જારી કરીને પ્રદેશના નાગરિકોને શાંતિ જાળવવા અને સોશિયલ મીડિયા પર ફરતા ભ્રામક દાવાઓથી દૂર રહેવા વિનંતી કરી છે. જમ્મુ અને કાશ્મીરના માહિતી અને જનસંપર્ક વિભાગના સત્તાવાર એકાઉન્ટ પર પોસ્ટ કરાયેલા એક નિવેદનમાં રાજ્ય સરકારે જણાવ્યું કે, જમ્મુ અને કાશ્મીર સરકાર તાજેતરના ઘટનાક્રમ સમયે નાગરિકોએ જાળવેલા સતત ધૈર્ય અને વિશ્વાસની પ્રશંસા કરે છે. સરકાર તમામ જરૂરી પગલાં લઇ રહી છે. અને સરકાર કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે, અને ચિંતા કરવાનું કોઈ કારણ નથી.
નિવેદનમાં ભાર મૂકવામાં આવ્યો કે, સામાન્ય લોકોએ “નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) અને અન્ય સરકારી એજન્સીઓ દ્વારા જારી કરાયેલ તમામ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)નું પાલન કરવું જોઈએ.” તેમાં વધુમાં ઉમેર્યું કે, “સોશિયલ મીડિયા પર ફરતી ખોટી માહિતી અને ભ્રામક દાવાઓ બિનજરૂરી ગભરાટ પેદા કરી શકે છે. રહેવાસીઓને સ્પષ્ટ સલાહ આપવામાં આવે છે કે, તેઓ અફવાઓથી દુર રહે, અને તેને ફેલાવવાનું ટાળે.
સરકારનું કહેવું છે કે, આરોગ્ય વિભાગે તેના કટોકટી સમયના પ્રોટોકોલને સંપૂર્ણપણે સક્રિય કરી દીધા છે અને કોઈપણ તબીબી કટોકટીનો સામનો કરવા માટે વહીવટી તંત્ર સંપૂર્ણપણે તૈયાર છે. આ સાથે મીડિયા કર્મચારીઓને સમાચાર શેર કરતી વખતે “જવાબદાર” રહેવાની વિનંતી પણ કરવામાં આવી છે. સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ સમયે શાંતિ અને શિસ્ત જાળવવામાં જનતાનો સહયોગ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
અધિકારીઓએ પુષ્ટિ કરી કે, સરકાર દરેક નાગરિકની સુરક્ષા પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરે છે અને આ મુશ્કેલ સમયમાં તેના લોકો સાથે ઉભી છે. આપણા રાષ્ટ્રની સુરક્ષા અને સ્થિરતા જાળવવા માટે સતર્ક રહો, માહિતગાર રહો અને સાથે મળીને કામ કરો.