BUSINESS

વર્ષ ૨૦૨૫માં વિદેશી રોકાણકારોની અંદાજીત રૂ.૨.૨૩ કરોડની વેચવાલી…!!

વર્ષ ૨૦૨૫ દરમિયાન વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ ભારતીય શેરબજારમાં અત્યાર સુધી ક્યારેય ન જોવાયેલી ગતિએ વેચવાલી કરી છે. સેકન્ડરી માર્કેટ મારફતે વિદેશી રોકાણકારોએ રૂ.૨.૨૩ લાખ કરોડથી વધુ મૂલ્યના શેરો વેચી કાઢ્યા છે. એક સમય હતો જ્યારે ભારતીય શેરબજાર વિદેશી રોકાણકારોની પ્રથમ પસંદગી ગણાતું હતું, પરંતુ વૈશ્વિક અનિશ્ચિતતા અને વેપાર કરાર સંબંધિત વિલંબને કારણે તેમનો વલણ સ્પષ્ટ રીતે બદલાયેલું જોવા મળે છે.

આંકડાઓ મુજબ ૨૦૨૫માં વિદેશી રોકાણકારોએ દર ટ્રેડિંગ દિવસે સરેરાશ રૂ.૯૦૦ કરોડ જેટલું ચોખ્ખું વેચાણ કર્યું છે. સમયગાળાની દૃષ્ટિએ જોવામાં આવે તો દર ટ્રેડિંગ કલાકે અંદાજે રૂ. ૧૫૨ કરોડના શેરો વેચાયા છે. આટલી ભારે વેચવાલી છતાં ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકોમાં નોંધપાત્ર તૂટણ જોવા મળી નથી, જે બજારની સ્થિતિસ્થાપકતાનું પ્રતિબિંબ છે.

ડિસેમ્બર મહિનામાં પણ આ ટ્રેન્ડ યથાવત રહ્યો છે. આ મહિનામાં અત્યાર સુધીના તમામ ટ્રેડિંગ દિવસોમાં એફઆઈઆઈએ વેચવાલી કરી છે અને કુલ રૂ.૧૫,૯૫૯ કરોડથી વધુના શેરો વેચ્યા છે. તેની સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) બજાર માટે મજબૂત આધારરૂપ સાબિત થયા છે. ડિસેમ્બર દરમિયાન ડીઆઈઆઈએ રૂ. ૩૯,૯૬૫ કરોડના શેરો ખરીદી બજારને સ્થિર રાખ્યું છે.

વિદેશી અને સ્થાનિક રોકાણકારો વચ્ચેની આ ખેંચતાણ વચ્ચે પણ ભારતીય શેરબજાર ટક્યું છે, જેમાં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP)નો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. રિપોર્ટ મુજબ છેલ્લા ત્રણ મહિનામાં SIP મારફતે રૂ. ૨૯,૦૦૦ કરોડથી વધુનું રોકાણ કરવામાં આવ્યું છે. નિષ્ણાતોના મત પ્રમાણે, ભારત-અમેરિકા વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવામાં થતો વિલંબ વિદેશી રોકાણકારોની વિમુખતાનું એક મુખ્ય કારણ બન્યું છે.

Back to top button
error: Content is protected !!