મ્યુચ્યુઅલ ફંડ ઈન્ફલોએ બજારને સંભાળ્યું, વિદેશી રોકાણકારોની વેચવાલી છતાં સ્થિરતા…!!

ભારતીય શેરબજાર છેલ્લા એકાદ વર્ષથી સતત વિદેશી રોકાણકારોના વેચાણ દબાણનો સામનો કરી રહ્યું છે, પરંતુ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII)ના વિશ્વાસને કારણે બજાર સ્થિર રહ્યું છે. જેફરીઝના ગ્લોબલ હેડ ઓફ ઇક્વિટી સ્ટ્રેટેજી ક્રિસ્ટોફર વુડનું કહેવું છે કે જો છેલ્લા બે વર્ષમાં મ્યુચ્યુઅલ ફંડમાં સામાન્ય રોકાણકારોનો મજબૂત પ્રવાહ ન આવ્યો હોત તો શેરબજારમાં ૨૦ થી ૩૦%નો મોટો કડાકો આવ્યો હોત.
વુડના જણાવ્યા અનુસાર, DIIએ ઓગસ્ટ ૨૦૨૫ સુધી સતત ૨૫ મહિના સુધી બજારમાં પોતાનું રોકાણ વધાર્યું છે. માત્ર નાણાકીય વર્ષ ૨૦૨૬ના પ્રથમ પાંચ મહિનામાં જ મ્યુચ્યુઅલ ફંડ્સમાં આશરે ૩૭.૬ અબજ ડોલરનો રેકોર્ડ ઈન્ફલો થયો છે. બીજી તરફ, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ અત્યાર સુધીમાં નેટ ૧.૫ અબજ ડોલરનું વેચાણ કર્યું છે અને માત્ર જુલાઈ-ઓગસ્ટમાં જ ૬ અબજ ડોલરનો આઉટફ્લો નોંધાયો છે.
હાલ વિદેશી રોકાણકારો ભારતથી દૂર થઈને કોરિયા અને તાઇવાન જેવા બજારો તરફ વળી રહ્યા છે. પરંતુ વુડનું માનવું છે કે ભારત અને અમેરિકા વચ્ચેના ટેરિફ વિવાદનો ઉકેલ આવતાની સાથે જ બજારમાં વ્યૂહાત્મક તેજી જોવા મળશે. જો વિવાદ લાંબો ખેંચાય તો પણ, વર્ષના અંત સુધીમાં વિદેશી રોકાણકારો ફરીથી ભારતમાં રોકાણ પરત લાવશે અને નેટ ખરીદદારો બનશે.
વુડ આગામી વર્ષ માટે પોઝિટિવ અભિગમ ધરાવે છે. તેમનું માનવું છે કે ૨૦૨૬માં ભારતનો નોમિનલ જીડીપી વૃદ્ધિદર ઊંચો રહેશે, જે કોર્પોરેટ કમાણી અને ઈપીએસ વૃદ્ધિ માટે ફાયદાકારક બનશે. સાથે જ સરકારના તાજેતરના ટેક્સ ઘટાડા, જીએસટી સુધારા અને આવકવેરામાં રાહત અર્થતંત્રને નવી ગતિ આપશે અને તેનો સીધો લાભ શેરબજારને મળશે. મ્યુચ્યુઅલ ફંડ ઈન્ફલો અને સ્થાનિક રોકાણકારોનો વિશ્વાસ બજારની કરોડરજ્જુ છે અને આવનારા સમયમાં પણ તે જાળવાયેલો રહેશે.



