BUSINESS

આરબીઆઈ દ્વારા રેપો રેટમાં ઘટાડાથી અર્થતંત્રને ટેકો પરંતુ શેરબજારને લાભ મર્યાદિત…!!

રેપો રેટમાં ઘટાડાથી અર્થતંત્રને બળ મળશે, પરંતુ શેરબજારે માત્ર મર્યાદિત લાભ જોઈ શકે છે, એવું નિષ્ણાંતોનું મંતવ્ય છે. રિઝર્વ બેંક દ્વારા ૨૫ બેસિસ પોઈન્ટનું દર ઘટાડો કરાયો છે, જેને વિશ્લેષકો સપ્ટેમ્બર ક્વાર્ટરના મજબૂત ૮.૨% જીડીપી વૃદ્ધિના આધારે લેવામાં આવેલ પગલું ગણાવે છે. તેમ છતાં, તેઓ માને છે કે યુએસ ટેરિફ હવે લાંબા સમય માટે યથાવત રહેવાની સંભાવના હોવાથી બજારમાં મોટી તેજી જોવા મળવાની શક્યતા ઓછી છે. બજાર નિષ્ણાતોના કહેવા મુજબ, ભારતીય બજારોએ ઉંચા અમેરિકન આયાત-શુલ્કની નવી વાસ્તવિકતા સાથે સમાધાન કરી લીધું છે અને નિકાસકારો પોતાના બજારોમાં વૈવિધ્યીકરણ કરી રહ્યા છે. રશિયન રાષ્ટ્રપતિની ભારત મુલાકાત અને ચાલતી વેપાર વાટાઘાટો સાથે નિકાસકારોને નવા બજારો મળવાની શક્યતા પણ ઊભી થઈ છે.

નિષ્ણાતોનું માનવું છે કે યુએસ-ઈન્ડિયા ટ્રેડ ડીલ અંગેની અનિશ્ચિતતા હજી થોડો સમય ચાલશે, અને અમેરિકન ફેડરલ રિઝર્વ પણ ઝડપથી વ્યાજદરમાં ઘટાડા તરફ નહી વધે. સ્થાનિક સ્તરે, RBIનો દર ઘટાડો અર્થતંત્રની મજબૂતી પર વિશ્વાસ દર્શાવે છે, પરંતુ ટૂંકા થી મધ્યમ ગાળામાં બજાર શ્રેણીબદ્ધ રહેવાની અને વર્તમાન સ્તરથી ફાયદો માત્ર ૨-૩% મર્યાદિત રહેવાની શક્યતા છે. આ સાથે જ આરબીઆઈએ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે જીડીપી વૃદ્ધિનો અંદાજ ૬.૮% થી વધારીને ૭.૩% કર્યો છે અને મોંઘવારીનો અંદાજ ૨.૬% થી ઘટાડીને ૨% કર્યો છે.

કેન્દ્રિય બેંકનો સર્વસંમતિથી કરવામાં આવેલ દર ઘટાડો દર્શાવે છે કે રૂપિયો નબળો હોવા છતાં વૃદ્ધિને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. જો કે બેંકિંગ ક્ષેત્ર માટે આ નિર્ણય દ્વિઅસરકારક છે. એક તરફ નીતિગત રીતે સારું, તો બીજી તરફ નેટ ઈન્ટરેસ્ટ માર્જિન (NIM) પર દબાણ વધવાની શક્યતા છે. ડિપોઝિટના દર ઝડપથી નીચે ન આવતા બેંકો માટે નાણા એકત્ર કરવું મુશ્કેલ બની શકે છે.

Back to top button
error: Content is protected !!