ઉત્તર ભારતના પહાડી વિસ્તારો છેલ્લા કેટલાક સમયથી વરસાદના કહેરનો સામનો કરી રહ્યા છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિલ્હી-એનસીઆર અને ઉત્તર પ્રદેશના વિવિધ જિલ્લાઓમાં વરસાદે વિનાશ વેર્યો હતો. વરસાદ સંબંધિત ઘટનાઓમાં ગઈકાલે બુધવારના રોજ હિમાચલમાં 10, પશ્ચિમ યુપીમાં 3, પંજાબમાં 2 અને ઉત્તરાખંડમાં 1 વ્યક્તિના મોત થયા છે. હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન ઉત્તર ભારતમાં વરસાદ અને વીજળી પડવાની આગાહી વ્યક્ત કરી છે.
ઉત્તરપ્રદેશના મુરાદાબાદના ધનારી ગામમાં ઘરની છત તૂટી પડતાં પિતા-પુત્રીનું મોત થયું હતું, જ્યારે એક સગીરા સહિત બે લોકો ઘાયલ થયા હતા. બદાઉન જિલ્લાના ઈસ્માઈલપુર અલ્લાઈપુર ગામમાં એક કાચા ઘરની દિવાલ ધરાશાયી થતાં 12 વર્ષના બાળકનું મોત થયું હતું.
હિમાચલ પ્રદેશમાં વરસાદે તારાજી સર્જી છે. પુર અને ભૂસ્ખલનને કારણે અનેક પરિવારો વિખેરાઈ ગયા છે. એક જ દિવસમાં જુદી જુદી ઘટનાઓમાં રાજ્યમાં એક બાળક સહિત 10 લોકોના મોત થયા છે જ્યારે છ લોકો ગુમ છે. શિમલાના બાલદેયાનમાં એક દંપતિનું મૃત્યુ થયું હતું, જંગામાં પાંચ વર્ષન એક બાળક, મંડીમાં નાના-દોહિત્રી અને કાકી-ભત્રીજી સહિત સાત લોકો મૃત્યુ પામ્યા હતા.
ઉત્તરાખંડના દેવપ્રયાગ પાસે ભારે કાટમાળને કારણે ઋષિકેશ-બદ્રીનાથ હાઈવે લગભગ નવ કલાક સુધી બંધ રહ્યો હતો. પીડબલ્યુડીના જવાનોની ભારે જહેમત બાદ કાટમાળ હટાવીને વાહનવ્યવહારને સામાન્ય હતો. આ ઉપરાંત ઋષિકેશથી મહાદેવ ચટ્ટી, ધોલધર સુધીના હાઈવે પર થોડો સમય વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. દેવપ્રયાગથી બે કિમી આગળ આવેલા કાટમાળને કારણે ઋષિકેશ અને શ્રીનગરથી આવતા વાહનો અટવાઈ પડ્યા હતા.