નવી દિલ્હી: આવતા વર્ષે બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે એક મોટા સમાચાર છે. શિક્ષણ મંત્રાલય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે હવેથી નવી શિક્ષણનીતિ મુજબ વર્ષમાં 2 વાર બોર્ડની પરીક્ષાઓ લેવાશે. બંને પરીક્ષાઓમાંથી જેમાં સારું પરિણામ આવ્યું હોય તે માન્ય રાખી શકાશે. આમાં વિદ્યાર્થીઓનો ફાયદો એ છે કે તેમને બોર્ડની પરીક્ષામાં સારુ પરિણામ લાવવાની 2 તક મળશે.
આ ઉપરાંત ધોરણ-11 અને ધોરણ-12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ 2 ભાષામાં ભણવું પડશે. આગામી વર્ષ 2024ના શૈક્ષણિક સત્ર માટે નવા અભ્યાસક્રમ મુજબ પાઠ્યપુસ્તકો તૈયાર કરવામાં આવશે. શિક્ષણ મંત્રાલય દ્વારા જાહેર નવા અભ્યાસક્રમ મુજબ હવે બોર્ડની પરીક્ષાઓ મહિનાઓનું કોચિંગ અને ગોખણ પટ્ટીની ક્ષમતાને બદલે વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓની સમજ અને આવડતનું મૂલ્યાંકન કરશે.
શિક્ષણ મંત્રાલયના નવા અભ્યાસક્રમ મુજબ ધોરણ-11 અને ધોરણ-12માં વિષયોની પસંદગી કોઇ એક સ્ટ્રીમ(સાયન્સ-કોમર્સ-આર્ટ્સ) સુધી સીમિત નહી રહે. વિદ્યાર્થીઓને પોતાને મનગમતા વિષયોની પસંદગી કરવાની આઝાદી મળશે. નવી શિક્ષણનીતિ મુજબ અભ્યાસક્રમનું માળખું તૈયાર કરી દેવામાં આવ્યું છે. વર્ષ 2024થી આ અભ્યાસક્રમ મુજબના તૈયાર પાઠ્યપુસ્તકોમાંથી વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે. ધોરણ-11 અને ધોરણ-12ના વિદ્યાર્થીઓ જે 2 ભાષામાં ભણશે તેમાંથી એક ફરજિયાત ભારતીય ભાષા હોવી જોઇએ.
આ ઉપરાંત વધુ એક સારા સમાચાર એ કહી શકાય કે નવા અભ્યાસક્રમ મુજબ તૈયાર થયેલા પાઠ્યપુસ્તકો કવર પ્રથામાંથી બચી જશે. ઉપરાંત તેમની કિંમતોમાં પણ ઘટાડો કરવામાં આવશે.