નસવાડી તાલુકાની કુપ્પા જૂથ પાણી પુરવઠા યોજનાની રાજ્યના સિંચાઈ મંત્રીએ આકસ્મિક મુલાકાત લીધી.

મુકેશ પરમાર,, નસવાડી
નસવાડી તાલુકાના કુપ્પા ગામે આવેલી કુપ્પા જૂથ પાણી પુરવઠા યોજનાની ગુજરાત રાજ્યના સિંચાઈ મંત્રી ઈશ્વરભાઈ પટેલે આકસ્મિક મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મંત્રીએ આદિવાસી અને ડુંગરાળ વિસ્તારમાં રહેતા લોકોને વહેલી તકે શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ થાય તે માટે યોજનાનું કામ તાત્કાલિક પૂર્ણ કરવા સંબંધીત એજન્સી અને અધિકારીઓને કડક સૂચનાઓ આપી હતી.નસવાડી અને કવાંટ તાલુકાના ડુંગર વિસ્તારમાં આવેલા કુલ 73 ગામોને પીવાનું પાણી પૂરું પાડવાના ઉદ્દેશથી રૂપિયા 91.10 કરોડના ખર્ચે કુપ્પા જૂથ પાણી પુરવઠા યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના દ્વારા અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોમાં લાંબા સમયથી ચાલતી પીવાના પાણીની ગંભીર સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાનો હેતુ રાખવામાં આવ્યો છે.સિંચાય મંત્રીએ યોજનાની કામગીરીની વિગતવાર સમીક્ષા કરી હતી તથા અમલ દરમિયાન ખૂટતી બાબતો પર ધ્યાન દોરી વહેલી તકે બાકી રહેલું કામ પૂર્ણ કરવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. ઉપરાંત નર્મદા નદીમાંથી પાણી લિફ્ટ કરવા માટે જરૂરી ઇન્ટેક વેલ (Well) ની જે કામગીરી હજુ પેન્ડિંગ છે તે પણ તાત્કાલિક પૂર્ણ કરવા અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા હતા.આ પ્રસંગે સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભેસિંહભાઈ તડવી તેમજ સ્થાનિક નેતા બબલુભાઈ જ્યસવાલ તેમજ દલસિંગ ભાઈ ઉપસ્થિત રહ્યા હતા. ડુંગરાળ આદિવાસી વિસ્તારમાં પ્રથમ વખત રાજ્યના સિંચાઈ મંત્રી દ્વારા મુલાકાત લઈ લોકોને સુવિધા મળે તે માટે ગંભીરતા દાખવવામાં આવતા ધારાસભ્ય અભેસિંહભાઈ તડવીએ રાજ્ય સરકાર તથા મંત્રી નો આભાર વ્યક્ત કર્યો હતો.જયારે આ યોજના પૂર્ણ થતાં નસવાડી અને કવાંટ તાલુકાના ડુંગરાળ વિસ્તારોમાં વસતા હજારો આદિવાસી પરિવારોએ શુદ્ધ અને પૂરતું પીવાનું પાણી મળશે, જે વિસ્તારના વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.



