શિક્ષણ સાથે સંવેદનશીલતાનો સંદેશ – શેરગઢ પ્રાથમિક શાળામાં અનોખી ઉતરાયણ ઉજવણી

ભરત ઠાકોર ભીલડી
શેરગઢ પ્રાથમિક શાળામાં આ વર્ષે ઉતરાયણનો તહેવાર પરંપરાગત રીતે નહીં પરંતુ માનવતા, કરુણા અને સંસ્કારોથી ભરપૂર અનોખી રીતથી ઉજવાયો. ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓએ ઘઉં, ગોળ અને તેલમાંથી પરંપરાગત લાડુ બનાવી ગામના કુતરાઓ અને નાના ગલુડિયાઓને પ્રેમપૂર્વક વિતરણ કર્યા.
આ સુંદર પહેલ દ્વારા બાળકોને દયા, સહાનુભૂતિ અને જીવદયા જેવા સંસ્કારોનું જીવંત શિક્ષણ મળ્યું. શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સાથે મળીને પરંપરા અને સંસ્કૃતિને જીવંત રાખતા તહેવારની સાચી મીઠાસ માણી. બાળકોના ચહેરા પર ઝળહળતો આનંદ અને ઉત્સાહ સ્પષ્ટ દેખાતો હતો, જ્યારે શિક્ષકો સાથે બેસીને તહેવાર ઉજવવાનો આનંદ પણ અનોખો રહ્યો.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શેરગઢ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી અમરતભાઈ જે. દેસાઈના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે અરવિંદસિંહ ચૌહાણ, કમલેશભાઈ પ્રજાપતિ, કલ્પેશભાઈ વૈદ્ય, રફીકભાઈ, પ્રવીણભાઈ પટેલ, યુવરાજસિંહ ચૌહાણ, છાયાબેન ડગલા, મંજુલાબેન ચૌધરી અને મુસ્તાકભાઈએ ઉત્સાહપૂર્વક સહકાર આપ્યો.
શેરગઢ પ્રાથમિક શાળાની આ પહેલ માત્ર ઉતરાયણની ઉજવણી નહીં પરંતુ બાળકોના સર્વાંગી વિકાસ માટેનું ઉત્તમ ઉદાહરણ બની રહી, જે સમાજને માનવતા અને સંવેદનશીલતાનો મજબૂત સંદેશ આપે છે.




