તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના અભિનેતા ગુરુચરણ સિંહને ગુમ થયાને હવે એક અઠવાડિયું થઈ ગયું છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે પોલીસના તાજેતરના અપડેટ્સ પરથી જાણવા મળ્યું કે 24 એપ્રિલે એટલે કે ગુમ થયાના બે દિવસ પછી ગુરુચરણે દિલ્હીના પાલમ પાસેના એટીએમમાંથી 7000 રૂપિયા ઉપાડ્યા હતા, અગાઉ, સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા જેમાં ગુરુચરણ સિંહ 22 એપ્રિલની રાત્રે લગભગ 9:14 વાગ્યે પાલમ વિસ્તારમાં રોડ ક્રોસ કરતા જોવા મળ્યા હતા. હવે કેટલાક અન્ય અહેવાલો કહે છે કે ગુરુચરણ ટૂંક સમયમાં લગ્ન કરવાના હતા અને આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હતા.
તેમના પરિવારે કહ્યું કે તેઓ ગુરુચરણ સાથે સંકળાયેલા કોઈપણ લગ્નના આયોજનથી અજાણ છે. તેમણે કહ્યું કે તેમને ખબર નથી કે આ સમાચાર ક્યાંથી આવી રહ્યા છે. સંબંધીએ એ પણ જણાવ્યું કે ગુરુચરણના પિતા બોલવાની સ્થિતિમાં નથી અને પરિવાર પાસે હજુ સુધી કેસ અંગે કોઈ અપડેટ નથી.
અભિનેતા નાણાકીય તંગીનો સામનો કરી રહ્યો છે કે કેમ તે અંગે કોઈ પુષ્ટિ નથી. રવિવારે દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલની ટીમે ગુરુચરણના ઘરે પણ તપાસ હાથ ધરી હતી. ગુરચરણ સિંહ 22 એપ્રિલે રાત્રે 8:30 વાગ્યે દિલ્હીથી મુંબઈની ફ્લાઈટમાં બેસવાના હતા, જો કે, તેઓ ન તો ગંતવ્ય સ્થાને પહોંચ્યા કે ન તો ઘરે પાછા ફર્યા. ત્યારથી તેમનો ફોન પણ બંધ છે. તેમના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી અને કલમ 365 (અપહરણ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ હજુ પણ આ મામલે તપાસ કરી રહી છે.