GUJARATJETPURRAJKOT

જેતપુર તાલુકાના પાચ ગામોના ખેડૂતોએ પ્રદૂષણ પ્રશ્ને ઢોલ નગારા સાથે મામલતદારન અને પ્રદુષણ નિયંત્ર બોર્ડને આવેદન આપી રજૂઆત કરી

તા.૧૯/૮/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

જેતપુર તાલુકાના મેવાસા, પ્રેમગઢ, લુણાગરા, લુણાગરી, જાંબુડી એમ ૫ ગામોમાં બેરોકટોક નિયમોને નેવે ચડાવી ચાલતા સાડી ધોલાઈઘાટના પાણીઈ આજુબાજુના ખેતરોના તળ બગાડી નાખ્યા હોવાથી ખેડૂતોને ખેતપાકોમાં વ્યાપક નુકશાન પહોંચી હોવાની કાગારોળ કરીને ખેડૂતો આજે મામલતદાર કચેરી અને પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરીએ ઢોલ નગારા સાથે જઈ આવેદનો આપ્યા હતા.

મોટી સંખ્યામાં દોડી આવેલા ખેડૂતોએ આક્ષેપો કર્યા હતા કે ઉપરોક્ત ગામોમાં વર્ષોથી સરકારના નિયમો નેવે ચડાવીને ભયંકર પ્રદુષણ યુક્ત પાણી નજીકની છાપરવાડી નદીમાં છોડી દેતા હોવાથી આ નદી પ્રદુષિત બની ગઈ છે. એટલુજ નહિ નદી નજીકના વાડી ખેતરોના કુવા, બોરના તળ પણ બગડી ગયા હોવાથી ખેતપાકોને પિયત કરી શકાતું નથી.

એક બાજુ કુદરત જો હોય તેમ વરસાદ ખેંચાયો છે અને બીજી બાજુ માલિકીનું પાણી છે પણ સાર્ડી ધોલાઈઘાટોના સંચાલકોના પાપે પ્રદુષણથી વાડી-બોરના પાણી પણ બગડી ગયા હોવાથી હવે ખેતરમાં ઉભેલા પાકને પિયત કેમ કરવું ? તેવા સવાલો ઉઠ્યા છે.

ખેડૂતોએ કહ્યું છે કે તેઓ છાપરવાડી અને ભાદરમાંથી સિંચાઈનું પાણી મેળવે છે પણ પ્રદુષણ માફિયાઓના પાપે હવે આ બંને નદીના પાણી વાપરવા તેમજખેતપાકો માટે બિનઉપયોગી થઇ ગયા છે. એટલુજ નહિ ઢોર-ઢાંખરને જો આવું પ્રદુષિત પાણી પીવડાવામાં આવે તો બીમાર અને ક્યારેક તો ઢોર મૃત્યુ પામે તેવું જલદ એસીડયુક્ત પાણી ખુલ્લેઆમ છોડવામાં આવી રહ્યું છે. ખેડૂતોએ રોષભેર આક્ષેપ કર્યો હતો કે આ બાબતે અનેકવખત રજુઆતો કરાઈ હોવા છતાં તંત્ર જાણે પ્રદુષણ માફિયાઓ સાથે સાંઠગાંઠ ધરાવતું હોવાનું સાબિત થઇ રહ્યું છે. કારણ કે, ઘાટ તોડી પાડવાની કામ્મીરના બીજા જ દિવસે ફરી ઘાટ ધમધમવા લાગે છે.

 

અમારી જમીનો બંજર બની ગઈ : ખેડૂતોનો વસવસો

જેતપુરના મામલતદાર અને પાણી પ્રદુષણ નિયંત્રણ બોર્ડને આજે અપાયેલા આવેદનોમાં ખેડૂતોનો આક્ષેપ છે કે સાડી ધોલાઈ ઘાટ સંચાલકો તેમના ઘાટના પાણી નજીકના નદી-નાળામાં બેફામ પણે છોડતા હોવાથી તેઓની વાડી વિસ્તારના તળ બગડી ગયા છે અને એક તબક્કે જમીનની હાલત બંજર થઇ ગઈ છે. કોઈ પણ ખેતપાક ન ઉગે તેવી હાલત થઇ ગઈ છે.

 

પ્રદુષણ ફેલાવતા તત્વો સામે પગલાં ભરાવા જ જોઈએ : જેતપુર ડા. એસો.

બીજીબાજુ જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસીએશનના સુત્રોએ જણાવ્યું હતું કે, તેઓના એસોસીયેશનમાં સામેલ એક પણ ઉદ્યોગપતિ દ્વારા હવે પ્રદુષણ ફેલાવાતું નથી. પ્રદુષણ ફેલાવાનોજ્યારે પણ મુદ્દો ઉપસ્થિત થાય છે ત્યારે પ્રદુષણ ફેલાવનાર કારખાનેદારો એસોસીયેશનમાં હોતા નથી અથવા તો ગ્રામ્ય વિસ્તારમાં અમુક સાડી ધોલાઈ ઘાટ સંચાલકો દ્વારા પ્રદુષણ ફેલાવાતું હોવાનું સમયાંતરે ફરિયાદો મળે છે. આવી પ્રવૃત્તિ કરતા કોઈ પણ સામે પગલાં ભરાવા જોઈએ તેવો ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસિયેશનના કાર્યવાહકોએ સુર વ્યક્ત કર્યો હતો.

 

પાણી પ્રદુષણ નિયંત્રણ બોર્ડ મુક, બધીર હોવાનો ખેડૂતોનો આક્ષેપ

ઉપરોક્ત ગામડાઓમાંથી જેતપુર દોડી આવેલા ખેડૂતોએ કહ્યું કે, પોતાના ગામડાઓમાં પ્રદુષિત પાણીએ ખેતીની જમીનની પથારી ફેરવી દીધી હોવાની અનેક ફરિયાદો પછી પણ પ્રદુષણ નીયંત્રણ બોર્ડ તો માર મૂક અને બધીરની ભૂમિકા ભજવે છે. કારણકે ખેડૂતો ફરિયાદ કરે છે છતાં કોઈ દિવસ અસરકારક પગલાં ભર્યા નથી અને ભરે તો માત્ર કાગળ ઉપર જ કાર્યવાહી બતાવે છે.

 

તો.. અમારી ગામોમાંથી કરવી પડશે હિજરત : ખેડૂતોનો વસવસો

જેતપુર આવેદન આપતી વેળાએ ખેડૂતોએ મામલતદાર અને પ્રદુષણ નીયંત્રણ બોર્ડને જણાવ્યું હતું કે, જો સાડી ધોલાઈ ઘાટ સંચાલકો દ્વારા આવી રીતે બેફામપણે ભયંકર પાણી પ્રદુષણ ફેલાવવાનું ચાલુ જ રાખશે તો તેઓને ગામમાંથી હિજરત કરવી પડશે. ત્યારે હવે ઉચ્ચ તંત્ર આ બાબતે શું પગલા લેશે ? તે રામ જાણે !

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!