દબાણ હટાવ સહિતની કામગીરી તટસ્થતાથી કરવા અધિકારીઓને સૂચના આપતા કલેકટર

તા.૧૦/૧૨/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે રેવન્યૂ ઓફિસર્સ(આર.ઓ.) મિટિંગ યોજાઈ હતી. બેઠકમા દબાણ હટાવ સહિતની કામગીરી તટસ્થતાથી કરવા અધિકારીઓને સૂચના કલેકટરશ્રીએ આપી હતી.
આ ઉપરાંત પ્રાંત અધિકારી કક્ષાએ તેમજ મામલતદાર કક્ષાએ જિલ્લામા થયેલી વિવિધ કામગીરીની સમીક્ષા કરવામા આવી હતી.
બેઠકમા કામગીરીના ફાળવાયેલા લક્ષ્યાંકો, કથા પૂર્ણ થયેલ લક્ષ્યાંકોની સમીક્ષા કરવામા આવી હતી. વિચરતી વિમુક્ત જાતિના પરિવારોને પ્લોટની ફાળવણી, દબાણ હટાવ કામગીરી, રેવન્યૂ વસૂલાતની કામગીરી, વાજબી ભાવની દુકાનોની તપાસણી, ઈકેવાયસીની કામગીરી, મંત્રીશ્રી, સંસદ સભ્ય તેમજ ધારાસભ્યશ્રીઓની બાકી અરજીઓ, સ્વાગતમાં રજૂ થયેલા પ્રશ્નો, મધ્યાહન ભોજનની કામગીરી, મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના સહિતના મુદ્દે પ્રાંત અધિકારીશ્રીઓ અને મામલતદારોની કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
બેઠકમાં નિવાસી અધિક કલેકટર શ્રી આલોક ગૌતમ સહિત પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ સહિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.





