દાહોદ જિલ્લામાં દિલ્હી–વડોદરા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વેના નિર્માણ કાર્યને ગતિ

તા.૦૯.૦૭.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લામાં દિલ્હી–વડોદરા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વેના નિર્માણ કાર્યને ગતિ
દાહોદના ઝેરજીતગઢ પાસે હાઈવે કામગીરીની મુલાકાત લઇ સ્થળ નિરીક્ષણ કરતા કેબીનેટ મંત્રી નીતિન ગડકરી કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલ ઝેરજીતગઢ પાસે હાઈવેના ચાલી રહેલા ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ કામગીરી સ્થળની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.દાહોદ જિલ્લામાં ભારતમાલા પરિયોજના હેઠળ દિલ્હી–વડોદરા ગ્રીનફિલ્ડ એલાઇનમેન્ટ (NH-148N) ના EPC પેકેજ-૨૬ અંતર્ગત આઠ લેનના એક્સેસ-કન્ટ્રોલ્ડ એક્સપ્રેસ-વેનું નિર્માણ કાર્ય પ્રગતિમાં છે. આ પ્રોજેક્ટ હાથીયાવણ ગામ નજીક હડફ નદીના પુલ પછીથી શરૂ થઈ અંદાજે ૩૨.૮૩૫ કિમી સુધી વિસ્તરેલો છે. પ્રોજેક્ટની કુલ અંદાજિત કિંમત રૂ. ૧,૦૩૮.૯૯ કરોડ છે. આ પ્રોજેક્ટનું નિર્માણ એટલાસ કન્સ્ટ્રક્શન્સ પ્રા. લિ. અને એન.કે.સી. પ્રોજેક્ટ્સ પ્રા. લિ. (જોઇન્ટ વેન્ચર) દ્વારા હાથ ધરવામાં આવી રહ્યું છે.આ દરમ્યાન દાહોદ જિલ્લા કલેકટર સુરભી ગૌતમ, દેવગઢ બારિયા નાયબ વન સંરક્ષક નાયબ પોલીસ અધિક્ષકઓ, પ્રાંત લીમખેડા, મામલતદાર લીમખેડા, નેશનલ હાઈવે સ્ટાફ સહિત સંલગ્ન તમામ અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ એક્સપ્રેસ-વેના નિર્માણથી દાહોદ સહિત પૂર્વ ગુજરાતમાં ઝડપી અને સુરક્ષિત માર્ગ પરિવહનને પ્રોત્સાહન મળશે. ઉપરાંત મુસાફરીનો સમય ઘટશે, વેપાર-વાણિજ્યને વેગ મળશે અને સમગ્ર વિસ્તારના સામાજિક તથા આર્થિક વિકાસને નવી દિશા મળશે





