
૧૮મી અખિલ ભારત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા-૨૦૨૬ તા.૧ ફેબ્રુઆરીના રોજ યોજાશે, રાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધામાં દેશના જુદા જુદા રાજ્યોના કુલ ૪ કેટેગરીમાં ૫૪૧ સ્પર્ધકો ભાગ લેશે.રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ- અવરોહણ સ્પર્ધાના સ્પર્ધાકોનું જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ મેડિકલ ચેકઅપ શરૂ કરી દેવામાં આવ્યું છે, જે આવતીકાલે તા.૩૧ જાન્યુઆરીએ પૂર્ણ થશે.આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં સિનિયર ભાઈઓ ૧૯૬, જુનિયર ભાઈઓ ૧૩૪, સિનિયર બહેનો ૧૨૦ અને જુનિયર બહેનો ૯૧ એમ એકંદરે કુલ- ૫૪૧ સ્પર્ધકો ગિરનારને સર કરવા માટે જોમ જુસ્સા સાથે દોડ લગાવશે.ગુજરાત રાજયના રમત-ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે ભારત ભરના યુવક અને યુવતિઓ માટેની અખિલ ભારત ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા તા.૦૧- ૦૨- ૨૦૨૬ના રોજ સિનિયર – જુનિયર ભાઈઓ માટે ભવનાથ તળેટી થી અંબાજી મંદીર ૫૫૦૦ પગથીયાં સુધી અને સિનિયર – જુનિયર બહેનો માટે ભવનાથ તળેટીથી માળી પરબ સુધી ૨૨૦૦ પગથીયાં સુધી યોજાશે. જેમાં ભારતના જુદા-જુદા ૧૨ રાજયોમાંથી ૫૪૧ અરજી ફોર્મ પસંદગી પામેલ છે.આ સ્પર્ધામાં ગુજરાત રાજયના ૫ જુદા-જુદા સ્થળ જેવા કે ઓસમ, ચોટીલા, ઇડર, પાવગઢ અને પારનેરા પર્વત ખાતે યોજાતી આરોહણ અવરોહણ સ્પર્ધાના પ્રથમ ૧૦ વિજેતાઓ અને રાજયકક્ષા ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાના પ્રથમ ૨૫ વિજેતાઓ આ સ્પર્ધામાં ભાગ લેશે. આ સ્પર્ધાની તૈયારીના ભાગ રૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ ૦૮ (આઠ)સમિતીની રચના પણ કરવામાં આવી છે.ભારતભરના યુવક અને યુવતિઓ માટેની અખિલ ભારત ગિરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા માટે ભાગ લેનાર દરેક ખેલાડીઓએ સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ કરવામાં આવી રહ્યું છે. જે તા.૩૧મી જાન્યુઆરીએ પૂર્ણ થશે.હાલમાં વધતા જતાં હદય રોગના બનાવોને કારણે તા. ૩૧ જાન્યુઆરીના રોજ સાંજે ૦૫:૦૦ કલાકે મંગલનાથ આશ્રમ, ભવનાથ ખાતે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ટીમ દ્વારા સ્પર્ધામાં આયોજન સંચાલન માટે સેવા આપતાં વ્યાયામ શિક્ષકો / ઇન્સ્ટ્રકટરો અને અન્ય વ્યવસ્થાપકો તેમજ સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓને સી.પી.આર. ટ્રેનીંગ આપવામાં આવશે.ભાગ લેનાર તમામ સ્પર્ધકો માટે નિવાસ , ભોજન , પ્રવાસ ખર્ચ, ટી-શર્ટ અને શોર્ટસ, મેડીકલ ચેક-અપ, મેડીકલ સારવારની સુવિધા, વિજેતાઓને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્જ મેડલ, ટ્રોફી, રોકડ પુરસ્કાર અને નિયત સમયમાં પૂર્ણ કરનાર તમામ ખેલાડીઓને ભાગ લીધેલનું પ્રમાણપત્ર આપવામાં આવશે. જિલ્લા કલેકટરશ્રીના માર્ગદર્શન અનુસાર જિલ્લા પોલીસ, વન વિભાગ, જિલ્લા પંચાયત આયોગ્ય વિભાગ, સિવિલ હોસ્પિટલ, શિક્ષણ, રમતગમત, પી.જી.વી.સી.એલ, મહાનગરપાલિકા, એન.આઈ.સી., જિલ્લા પુરવઠા,પર્વતારોહણ તાલીમ કેન્દ્ર , રોપ-વે, વ્યાયામ શિક્ષક સંઘ દ્વારા સંલગ્ન જરૂરી કામગીરી કરવામાં આવી રહી છે.આ સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓએ ૩૦ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ સિનિયર જુનિયર ભાઈઓ/બહેનો માટે સનાતન ધર્મશાળા ભવનાથ તળેટી ખાતે રિપોર્ટિંગની વ્યવસ્થા રાખવામાં આવી છે. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવ્યું છે
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





