સ્વાનંદ માટે પ્રકૃતિ સંરક્ષણનું કાર્ય કરતા શિક્ષણ બોર્ડના મદદનીશ સચિવ પુલકિત જોશી

3 એપ્રિલ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના મદદનીશ સચિવશ્રી પુલકિત જોશી મૂળ બનાસકાંઠા જિલ્લાના મગરવાડા ગામના વતની છે. મગરવાડા ગામમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાના આદ્ય સ્થાપક એમના દાદાજી શ્રી ડાહ્યાલાલ મણિલાલ જોશી આદર્શ શિક્ષક તો હતા જ પણ વિશેષતઃ ભારે પ્રકૃતિ પ્રેમી હતા. આજે તેમનો આખો પરિવાર પ્રકૃતિ પ્રત્યે ખૂબ સંવેદનશીલ છે. શ્રી પુલકિતભાઈ કેટલાંય વર્ષોથી શિક્ષણની કામગીરી સાથે જોડાયેલા છે. પણ તે પહેલેથી પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે ખૂબ લગાવ ધરાવે છે. તેથી સરકારી સેવા સાથે સમાજની સેવા માટે શિક્ષકોને આ દિશામાં વિશેષ માર્ગદર્શન અને પ્રોત્સાહન આપી રહ્યા છે. હાલ ગ્લોબલ વાર્મિંગની પરિસ્થિતિને ખાળવા માટે અનેક સંસ્થાઓ અને સમાજ સેવકો પર્યાવરણ વિષય પર કામ કરી રહ્યા છે. તે સાથે શ્રી જોશીએ એનોખો અભિગમ શરૂ કર્યો છે, પ્રાથમિક શાળામાંથી બાળકને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે તે હેતુથી શાળાના શિક્ષકોને આ કામગીરીમાં રસ જગાડી રહ્યા છે. આજે સ્વચ્છ ભારત અભિયાન અને સ્વચ્છતા હી સેવા જેવાં કાર્યોમાં જોડાયેલા શિક્ષકો દ્વારા શાળામાં બગીચો, કિચન ગાર્ડન, વૃ ક્ષારોપણ, બાળકોનાં ઘર અને શાળામાંથી નકામું પ્લાસ્ટિક એકત્ર કરી વેસ્ટ બોટલમાં ભરી પ્લાસ્ટિક મુક્ત અભિયાન, પાણી બચાવો, વીજળી બચાવો જેવા વિષયો પર કામ થઈ રહ્યું છે, ત્યારે પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધન અભિગમ સાથે ઉત્તમ અને અદકેરું કાર્ય કરતા શિક્ષકોને પ્રોત્સાહન મળે તે હેતુથી રાજ્યના ૨,૫૦૦ શિક્ષકોને સન્માનિત કરવાના કાર્યક્રમનું તેમણે લોક સહયોગથી આયોજન કરેલું છે. ‘હું છું પર્યાવરણ સંરક્ષક’- શ્રી જોશીના આ અભિયાનને બહોળો પ્રતિસાદ, જેમાં રાજ્યના અનેક શિક્ષકો સ્વયંભૂ જોડાયા. રાજ્ય સરકારના કર્મયોગી શ્રી જોશીએ મર્મયોગી બની એક નવતર અભિગમ શરૂ કર્યો છે, “હું છું પર્યાવરણ સંરક્ષક – આવો સાથે મળી પર્યાવરણ બચાવીએ”.




