
નર્મદા જિલ્લામાં SIR અંતર્ગત 98.86 ટકા EF ડિજિટાઈઝેશનની કામગીરી આજદિન સુધી પૂર્ણ કરાઈ
રાજપીપલા : જુનેદ ખત્રી
ભારતના ચૂંટણી આયોગ દ્વારા મતદારયાદી માટેનો Special intensive Revision(SIR) કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત તા.૦૧/૦૧/૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી માટેના SIR કાર્યક્રમ અંગે માહિતગાર કરવા માટે માન્ય રાજકીય પક્ષો સાથે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર એસ.કે.મોદીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.
કલેકટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરએ માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ Special intensive Revision (SIR) કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લાના મતદારોને માહિતગાર અને મદદરૂપ થઈ શકે તે માટે જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. જેમાં મતદાર યાદી પ્રક્રિયામાં બીએલઓને મદદરૂપ થવા તેમજ જે મતદારના હજી પુરાવા રજૂ થયા નથી તેમની માહિતી બીએલઓ સુધી પહોંચાડી મતદાર યાદીની પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થાય, કોઈપણ મતદારનો યાદીમાં સમાવેશ થતાં રહી ન જાય તે જોવા ઉપર જિલ્લા ચૂંટણી અધિકારીએ ખાસ ભાર મૂક્યો હતો.
નર્મદા જિલ્લામાં મતદાર યાદી અંગે Special Intensive Revision (SIR) હેઠળની કામગીરી સુવ્યવસ્થિત રીતે ચાલી રહી છે. જિલ્લામાં કુલ 4,69,487 મતદારો નોંધાયેલા છે. સમગ્ર જિલ્લામાં 617 બુથ કાર્યરત છે, તેમજ દરેક બુથ પર 01 (એક) બુથ લેવલ ઓફિસર (BLO) ની નિમણૂંક કરી દેવામાં આવી છે. BLO દ્વારા દરેક મતદારના ઘરે-ઘરે જઈને એન્યુમરેશન (EF) ફોર્મ ભરવાનું તથા માહિતીનું ચકાસણી બાદ ડિજિટાઈઝેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, જે આગામી તા ૧૧ ડિસેમ્બર-૨૦૨૫ સુધી ચાલુ રહેશે.
નર્મદા જિલ્લામાં વિધાનસભા મત વિસ્તાર મુજબ આજદિન સુધી કરેલ એન્યુમરેશન પ્રગતિ (EF –Digitization) અંગે વાત કરવામાં આવે તો 148-નાંદોદ મત વિસ્તારમાં નોંધાયેલા કુલ 2,35,894 મતદારો પૈકી 99.00 ટકા અને 149- દેડિયાપાડા મત વિસ્તારમાં નોંધાયેલા કુલ 2,28,262 મતદારો પૈકી 98.71 ટકા EF ડિજિટાઈઝેશનની કામગીરી આજદિન સુધી કરવામાં આવી છે. આમ કુલ 4,64,156 મતદારો પૈકી 98.86 ટકા EF ડિજિટાઈઝેશનની કામગીરી આજદિન સુધી કરવામાં આવી છે.
(EF–Digitization) ની સંખ્યામાં જે મતદારો ગેરહાજર, સ્થળાંતર, મૃત, એક કરતા વધુ એન્ટ્રી ધરાવતા તથા અન્ય મતદારોનો સમાવેશ કરેલ છે. તા. ૧૬/૧૨/૨૦૨૫ મંગળવારના રોજ મુસદ્દા મતદારયાદીની પ્રસિધ્ધિ કરવામાં આવશે. તા. ૧૬/૧૨/૨૦૨૫ થી ૧૫/૦૧/૨૦૨૬ સુધી હક્ક-દાવ અને વાંધા અરજીઓ રજૂ કરવાનો સમયગાળો રાખવામાં આવેલ છે. તા. ૧૪/૦૨/૨૦૨૬ ના રોજ આખરી મતદારયાદીની પ્રસિધ્ધિ કરવામાં આવશે.
નાયબ ચૂંટણી અધિકારી ચેતન સુથારએ જણાવ્યું હતુ કે, તા. ૦૭/૧૨/૨૦૨૫ ના રોજ દરેક બુથ ઉપર બીએલઓએ બીએલએ તથા ગામના આગેવાનોને હાજર રાખીને બેથક યોજી હતી. જેમાં તેઓએ જે-તે બુથમાં ગેરહાજર, સ્થળાંતર, મૃત, એક કરતાં વધુ એન્ટ્રી ધરાવતા સહિત મતદારોની માહિતી આપવામાં આવેલ છે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર નર્મદા દ્વારા મતદાર યાદીની શુદ્ધતા અને પારદર્શિતા જાળવવા તમામ મતદારોને સહકાર આપવા જણાવાયું છે. SIR અંતર્ગત ચાલતી કામગીરીમાં સક્રિય ભાગ લેવા જિલ્લામાં તમામ રાજકીય પક્ષો અને નાગરિકોને પણ અપીલ કરી છે.




