

સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વરમાંથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર 48 પર અકસ્માત બાદ હવે વિચિત્ર અકસ્માતને લઇ વાહનચાલકોને પસાર થતાં જીવ પર જોખમ ઉભું થઇ રહ્યું છે. થોડા સમય પૂર્વે નિલેશ ચોકડી પર ટ્રકમાંથી કેમિકલ ભરેલા ડ્રમ પડતા વાહનચાલકોનો જીવ જોખમમાં મુકાયો હતો.
જે બાદ આજરોજ અંકલેશ્વરથી સુરત તરફ જતાં ટ્રેક પર આમલાખાડી બ્રિજ પર જ એક આઇસર ટેમ્પામાંથી અચાનક બ્લૂ પીગમેન્ટની બેગો રોડ પર ટપોટપ પડવા લાગી હતી. તેને લઇ રોડ પર ચારે તરફ બ્લ્યૂ પીગમેન્ટ ફેલાઈ ગયું હતું. ટેમ્પો ચાલકને અન્ય વાહનચાલકે જાણ કરતા 300 મીટર દૂર ટેમ્પો ઉભો રાખ્યો હતો અને બેગો ઉઠાવી પુનઃ ટેમ્પો લોડ કર્યો હતો. જોખમી રીતે વાહનમાં સમાનલોડ કરી અન્યના જીવ પર જોખમ ઊભું કરતા આવા વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે.




