
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
મુંદરામાં ટ્રાફિક મુક્તિ તરફ મોટો પગથિયો – શક્તિનગરથી રાશપીર સર્કલ સુધી દબાણ હટાવાયું
મુંદરા,તા.24: આજે સવારથી મુંદરા શક્તિનગરથી રાશપીર સર્કલ સુધી માર્ગની બંને બાજુ વર્ષોથી ચાલતા દબાણો સામે તંત્ર દ્વારા વિશાળ પાયે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રોડ પર ઉભેલા શેડ, બોર્ડ, બિનઅધિકૃત બાંધકામ, કચરો અને વાહન પાર્કિંગ જેવી અવ્યવસ્થાને દૂર કરાતાં ટ્રાફિકમાં રહેલો દબાણ નોંધપાત્ર રીતે ઘટ્યો છે.
આ કામગીરી દરમિયાન પોલીસ વિભાગના સ્ટાફ દ્વારા સંકલિત રીતે JCB અને ટ્રેક્ટરના સહાયથી દબાણો હટાવવાની કામગીરી સરળતાથી પૂર્ણ કરવામાં આવી રહી છે.
સ્થાનિક મુંદરાવાસીઓએ તંત્રની આ કાર્યવાહીનું હાર્દિક સ્વાગત કરતા જણાવ્યું કે લાંબા સમયથી આ માર્ગ પર ટ્રાફિક અને પાર્કિંગની ગેરવ્યવસ્થા તથા અકસ્માતોની ભીતિ સતત રહી હતી. દબાણો દૂર થતા હવે વાહનચાલકોને રાહત મળશે તેમજ અકસ્માતોની સંભાવનાઓ પણ મોટા પાયે ઓછી થશે.
કામગીરી જોતા તંત્ર તરફથી સ્પષ્ટ સંદેશો આપવામાં આવ્યો છે કે જાહેર માર્ગ પર કોઈપણ પ્રકારના દબાણ અથવા બિનઅધિકૃત બાંધકામ સહન નહીં કરવામાં આવે અને આગળ પણ આવી કામગીરી નિયમિત રીતે હાથ ધરવામાં આવશે.
મુંદરામાં સ્વચ્છ, સુરક્ષિત અને લોકકલ્યાણકારી ટ્રાફિક વ્યવસ્થા તરફ આ પગલું નોંધપાત્ર માનવામાં આવે છે.




વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com



