બનાસકાંઠામાં આગામી ૧૫ જુલાઈ સુધી ધરતી આબા જન જાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત કેમ્પ યોજાશે
2 જુલાઈ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
આદિવાસી સમુદાયોના સર્વાંગી વિકાસ માટે જિલ્લાના પાંચ તાલુકાના ૧૬૭ ગામોના ૧.૯૧ લાખથી વધુ લોકો માટે કેમ્પ યોજાયો ભારત સરકાર દ્વારા દેશના આદિવાસીઓના વિકાસને વેગવંતો બનાવવાના ભાગરૂપે એક વિશેષ અભિયાન તરીકે ધરતી આબા જન જાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાનને મંજૂરી અપાઈ છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં આગામી ૧૫ જુલાઈ ૨૦૨૫ સુધી આ અભિયાન થકી આદિવાસી વિસ્તારમાં જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે. આ અભિયાન હેઠળ બનાસકાંઠા જિલ્લાના ૫ તાલુકાના ૧૬૭ ગામોના ૧,૯૧,૮૯૬ આદિવાસી લોકોનો સમાવેશ કરાયો છે. અભિયાન અંતર્ગત આદિવાસી લોકોને વિવિધ યોજનાઓના લાભ અંગે જાગૃતિ લાવવા માટે સેચ્યુરેશન કેમ્પનું આયોજન કરાશે.
બનાસકાંઠા જિલ્લામાં ૩ જુલાઈ થી ૧૫ જુલાઈ દરમિયાન દાંતા, અમીરગઢ,થરાદ, પાલનપુર અને વડગામ તાલુકાઓમા કેમ્પ યોજાશે. જેમાં દાંતા તાલુકા માટે પીપળાવાળી વાવ આશ્રમશાળા, કુંવારસી પ્રાથમિક શાળા, સનાલી, ખંડોર ઊંબરી, કેશરપુરા, દલપુરા, સાંઢોસી, ગના પીપળી, કુંભારીયા પ્રાથમિક શાળાઓ ખાતે કેમ્પ યોજાશે. અમીરગઢ તાલુકા માટે ખૂણીયા, ઢોલીયા, રામપુરા (વ), કાનપુરા પ્રાથમિક શાળાઓ ખાતે, થરાદ તાલુકા માટે મોટા મેસરા, ભારોલ, રાહ, ઘેસડા, મોટી પાવડ પ્રાથમિક શાળાઓ ખાતે, પાલનપુર તાલુકા માટે છાપરા અને વડગામ તાલુકા માટે મોતીપુરા પ્રાથમિક શાળા ખાતે સેચ્યુરેશન કેમ્પનું આયોજન કરાશે. નોંધનીય છે કે, ધરતી આબા જન ઉત્કર્ષ અભિયાન એ ભારત સરકાર દ્વારા આદિવાસી સમુદાયોના સર્વાંગી વિકાસ માટે શરૂ કરવામાં આવેલી એક મહત્વાકાંક્ષી પહેલ છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય આદિવાસી વિસ્તારોમાં સામાજિક માળખાકીય સુવિધાઓ, આરોગ્ય, શિક્ષણ અને આજીવિકામાં રહેલી ખામીઓને દૂર કરીને સર્વગ્રાહી અને ટકાઉ વિકાસ સુનિશ્ચિત કરવાનો છે.