
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : મેઘરજના વાઘોરા જંગલમાં ભીષણ આગ, વનરાજી બળીને ખાખ
અરવલ્લી જિલ્લામાં મેઘરજ તાલુકાના વાઘોરા વિસ્તારમાં આવેલ જંગલમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા વિશાળ વિસ્તારની વનરાજી બળીને ખાખ થઈ ગઈ હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે. આગની લપેટો દૂરથી જ દેખાતા સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આગની ઘટના અંગે તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગના કર્મચારીઓ તુરંત જ ઘટના સ્થળે દોડી પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવવા કામગીરી શરૂ કરી હતી. વનકર્મીઓ તથા સ્થાનિક લોકોના સહયોગથી ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી, જેના કારણે વધુ વિસ્તારને નુકસાનથી બચાવી શકાયું હતું.આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ છે. વન વિભાગ દ્વારા સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હાલમાં નુકસાનનું મૂલ્યાંકન કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.





