
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇ નગરના માં અંબા માતાના મંદિર ખાતે હિન્દુ આગેવાનો તેમજ ગ્રામજનો દ્વારા વિરાટ હિન્દુ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના ને ૧૦૦ વર્ષ પૂર્ણ થતાં શતાબ્દી વર્ષ ને લઈ ડાંગ જિલ્લાના તમામ મંડળોમાં વિરાટ હિન્દુ સંમેલનો યોજાઈ રહ્યા છે. જેમાં સેંકડો ની માત્રામાં ગ્રામજનો ઉપસ્થિત રહેતા આ વિરાટ હિન્દુ સંમેલનો ને ભારે પ્રતિસાદ મળ્યું છે.ત્યારે વઘઈ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં પ્રયોશા પ્રતિષ્ઠાન ડાંગના પી.પી.સ્વામીજી, વઘઈ વેપારી એસોસિએશન પ્રમુખ સુભાષભાઈ બારસે, સુરેશભાઈ કાંજિયા, દિલીપભાઈ ચૌહાણ,ગૌતમભાઇ પટેલ, રવિભાઈ સુર્યવંશી,દોલતભાઈ વૈષ્ણવ સહિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્ય માર્ગ પ્રાંત સંયોજક અશોકભાઈ પટેલ ના હસ્તે દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે વઘઈ નગરજનો એ મુખ્ય મહેમાનોનું ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વિધાર્થિનીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ મહેમાનોને આવકાર્યા હતા.જ્યારે કોટવાળીયા વસાહતની દીકરીઓ દ્વારા પર્યાવરણ અને પ્રકૃતિ જાળવણીના સંદેશના સંગીત સાથે નૃત્ય રજૂ કરી હતી. તેમજ વઘઈ તાલુકાના હોમગાર્ડની નોકરી કરતા હોમગાર્ડ ગ્રુપના ભાઇઓ અને બહેનો દ્વારા દેશ પ્રેમ સાથે એક હાથમાં તલવાર અને બીજાના શિવાજી મહારાજની પ્રતિમાવાળા કેસરિયો ધ્વજ લઈ જોરદાર કલાકૃતિ રજૂ કરતા ઉપસ્થિત તમામના દિલ જીતી લીધા હતા.આ ત્રણેય કલાકૃતિઓ પર લોકો પ્રોત્સાહન ઇનામ તરીકે નોટો ની બોંસાર વરસાવી દેતા ખુશીનો માહોલ સર્જાયો હતો. આ પ્રસંગે પ્રયોશા પ્રતિષ્ઠાન ડાંગના પૂજનીય પી.પી.સ્વામીજી આર્શીવચન આપી હિન્દુ સંસ્કાર વિષે કુટુંબ પ્રબોધન, સામાજિક સમરસતા, પર્યાવરણ, નાગરિક કર્તવ્ય અને સ્વ-બોધ જેવા ઉમદા વિચારો પર વિસ્તૃત વિચારોની આપલે થઈ. મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શ્રી અશોકભાઈ પટેલએ વંદે-માતરમ અને ભારત માતાકી જય ના નાધ સાથે પરિવારની એકતા માટે વડીલોનું સન્માન, શિક્ષાની સાથે સંસ્કાર, સોશ્યલ મીડિયાથી દૂર રહી મોબાઈલ સાઇડ મૂકી, સાથે રહેવું સાથે બેસવું , સાથે બેસી વિચાર મંથન કરવાની હાલના સમયની તાતી જરૂરિયાત છે. તેવા ઉમદા વિચારો રજૂ કરવામાં આવતા ઉપસ્થિત વડીલો, માતાઓ, બહેનો, યુવાનોએ હિન્દુ સંસ્કૃતિ અને સંસ્કાર ના માટે પોતાના પરિવાર અને પુરી જિંદગી ન્યોછાવર કરી દેનાર અશોકભાઈને તાળીઓના ઘડઘડાટ સાથે વધાવી લીધા હતા.એવા સંસ્કારી કાર્યક્રમો વઘઈ ગામ સહિત ગામડાઓમાં યોજાય તેવી ગ્રામવાસીઓની માંગ ની સાથે દર શનિવારે વઘઈ ના માં અંબા માતાના મંદિર ખાતે હનુમાન ચાલીસાનું પાઠ કરીશું તેવા આત્મ ચિંતન સાથે મહા પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ ભક્તો લાભ લઈ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી..





