Rajkot: અધિક પોલીસ કમિશનરશ્રીની અધ્યક્ષતામાં નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠક યોજાઈ

તા.૧૯/૨/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
પોલીસ વિભાગ સાથે ખેતીવાડી, આરોગ્ય, શિક્ષણ સહિતના વિભાગની સક્રિય ભૂમિકાથી ‘નશામુક્ત ભારત’ અભિયાનને સાર્થક બનાવીએ: અધિક પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર બગડિયા
રેલવે, એર, કુરિયર માર્ગે નાર્કોટિક્સ ડ્રગ્સની હેરફેરના મુદ્દે સઘન ચેકીંગ ઝુંબેશ ચલાવવા સૂચના આપતા શ્રી મહેન્દ્ર બગડિયા
Rajkot: અધિક પોલીસ કમિશનરશ્રી મહેન્દ્ર બગડિયાની અધ્યક્ષતામાં રાજકોટ ડી.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠક યોજાઈ હતી. જેમાં અધિક પોલીસ કમિશનરશ્રીએ માત્ર પોલીસ વિભાગ જ નહીં તમામ વિભાગ સંયુક્ત રીતે જોડાઈ ‘નશામુક્ત ભારત અભિયાન’ને સાર્થક બનાવે તેવી અપીલ કરી હતી.
શ્રી બગડિયાએ ખેતીવાડી વિભાગ દ્વારા ગાંજાનું ઉત્પાદનકર્તા વિરુદ્ધ, મેડિકલ વિભાગ દ્વારા ગેરકાયદે સિરપના વેચાણકર્તા વિરુદ્ધ સઘન કામગીરી કરવા સૂચના આપી હતી, સાથોસાથ તેમણે ‘નશામુક્ત ભારત અભિયાન’ને સાર્થક બનાવવા યુવાવર્ગને માદક દ્રવ્યોના વ્યસનથી બચાવવા તથા શાળા, કોલેજ, યુનિવર્સિટીમાં ડ્રગ્સ અવેરનેસ કેમ્પેઈન ચલાવી યુવાઓમાં જાગૃતિ લાવવા સૂચન કર્યું હતું. વધુમાં રેલવે, એર અને કુરિયર દ્વારા થતી નાર્કોટિક્સ ડ્રગ્સની હેરાફેરીને ધ્યાને લઇ પોલીસ વિભાગને સઘન ચેકીંગ ઝુંબેશ ચલાવવા અધિક પોલીસ કમિશનરશ્રીએ સૂચના આપી હતી.
એસ.ઓ.જીના પી.આઈ. શ્રી એસ.એમ.જાડેજાએ એન્ટી-ડ્રગ્સ કેમ્પેઇન અંતર્ગત પોલીસ વિભાગ દ્વારા ચાલુ માસે કરવામાં આવેલી કામગીરીની માહિતી આપી હતી. જેમાં શાળા, કોલેજમાં જનજાગૃતિ કાર્યક્રમ, એસ.ઓ.જી. અને પોલીસ વિભાગ દ્વારા ગાંજા અને એમ.ડી. ડ્રગ્સના વેચાણ કરતા ૪ કેસમાં આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ.ના કેસ, શાળા આસપાસ ૧૦૦ મીટરમાં પ્રતિબંધ હોવા છતાં તંબાકુ સંબંધી વેચાણકર્તા પાન ગલ્લા વિરુદ્ધ કોપટા એક્ટ હેઠળ ૩૨૩ કેસમાં રૂ. ૬૪,૬૦૦નો દંડ કરાયાનું જણાવ્યું હતું.
આ બેઠકમાં ડી.સી.પી. ઝોન – ૨ શ્રી રાકેશ દેસાઈ સહીત વિવિધ પોલીસ સ્ટેશનના અધિકારીશ્રીઓ, કસ્ટમ, સમાજ સુરક્ષા, ફૂડ એન્ડ ડ્રગ્સ, ફોરેન્સિક, સિવિલ, મનોચિકિત્સક, રિહેબિલિટેશન, કૃષિ અને વન વિભાગ, તોલમાપ સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ, મહાનગર તેમજ સિવિલના આરોગ્ય અધિકારીઓ તેમજ રાજકોટની વિવિધ યુનિવર્સિટીના નોડલ અધિકારીશ્રીઓ જોડાયા હતાં.




