હાલોલ:પ્રાકૃતિક કૃષિ રાષ્ટ્રીય અભિયાન અંતર્ગત “રીસોર્સ પર્સન ફ્રોમ સેન્ટર ઑફ નેચરલ ફાર્મિંગ” માટે આયોજિત બે દિવસીય રાષ્ટ્રીય સેમિનારનો રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં શુભારંભ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૩.૧.૨૦૨૫
ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં પંચમહાલ જિલ્લાના હાલોલમાં આવેલી ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય ખાતે પ્રાકૃતિક કૃષિના રાષ્ટ્રીય અભિયાન અંતર્ગત રીસોર્સ પર્સન ફ્રોમ સેન્ટર ઑફ નેચરલ ફાર્મિંગ માટે આયોજીત બે દિવસીય રાષ્ટ્રીય સેમિનારનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો.આ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, દેશની પ્રથમ પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય ખાતે યોજાયેલ આ વૈજ્ઞાનિકો અને સંશોધકો માટેના પ્રશિક્ષણ સેમીનારનું આગામી સમયમાં દેશભરમાં થનાર પ્રાકૃતિક કૃષિના વિકાસમાં મહત્ત્વનું યોગદાન રહેશે.રાજ્યપાલશ્રીએ દેશી ગાય આધારીત પ્રાકૃતિક કૃષિને દેશની કૃષિ ક્રાંતિ તરીકે ઓળખાવી હતી. તેમણે જણાવ્યું કે, જમીનમાં ઓર્ગેનિક કાર્બન ઘટતા અને રાસાયણિક ખાતરનો ઉપયોગ વધતાં તેમાંથી ઉત્પન્ન થતા અન્ન, ફળ અને શાકભાજી ઝેરયુક્ત હોય છે અને માનવ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. જેને પરિણામે કેન્સર, હ્રદયરોગ અને ડાયાબિટીસ જેવી બિમારીઓ વધી છે. આ બધામાંથી બચવાનો એક માત્ર ઉપાય પ્રાકૃતિક કૃષિ છે, તેમ કહી રાજ્યપાલશ્રીએ વધુમાં ઉમેર્યું કે, દેશમાં મિશન મોડ પર પ્રાકૃતિક કૃષિ અભિયાન ચલાવવામાં આવ્યું છે, તેને આગળ વધારવા આપણે સૌ પ્રયાસરત રહીએ તે જરૂરી છે.રાજ્યપાલશ્રી દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગને કારણે ધરતી માતાનું સ્વાસ્થ્ય બગડ્યું છે. જેને પરિણામે ધરતી માતા બિન ઉપજાઉ બની છે. તેમણે પ્રાકૃતિક કૃષિ એ માત્ર ખેતી નથી પરંતુ તેનાથી પર્યાવરણના બચાવ સાથે પાણીની શુદ્ધતા, ગૌ માતાનું રક્ષણ, ખેડૂતોની આવક વધવા સાથે ઝેરમુક્ત કૃષિ ઉત્પાદનો માનવજાતને મળી રહેશે તેમ ઉમેર્યું હતું. પ્રાકૃતિક જીવનશૈલી અપનાવી પ્રકૃતિનો સહયોગ કરવાનો અનુરોધ કર્યો હતો. તેમણે પ્રાકૃતિક કૃષિને જળ, જમીન અને હવાને શુદ્ધ રાખતી ખેતી ગણાવી હતી.રાજ્યપાલશ્રી એ હાલોલ ખાતે યોજાયેલ સેમિનારમાં ઉપસ્થિત તમામને પ્રાકૃતિક કૃષિ અભિયાનને સફળ બનાવવાનો અનુરોધ કરી પ્રશિક્ષણ સેમીનાર માટે અભિનંદન પાઠવ્યા હતા અને તમામને પ્રાકૃતિક કૃષિને પરિણામથી પ્રમાણ સુધી લઈ જવાની અપીલ કરી હતી.આ કાર્યક્રમમાં કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ.અંજુ શર્માએ ગુજરાતમાં નેશનલ મિશન ફોર નેચરલ ફાર્મિંગ અને પ્રાકૃતિક કૃષિ વિષે, જ્યારે કેન્દ્રના કૃષિ વિભાગના સચિવ દેવેશ ચતુર્વેદીએ નેશનલ મિશન ફોર નેચરલ ફાર્મિંગ વિશે માહિતી આપી હતી તથા પ્રાકૃતિક ખેતી માટેના વૈજ્ઞાનિક અભિગમ જણાવ્યા હતા.પ્રારંભમાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના કુલપતિ ડૉ. સી.કે. ટીંબડિયાએ ઉપસ્થિત સૌનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે, બે વર્ષ અગાઉ રાજ્યપાલશ્રીએ જ યુનિવર્સિટીના ફાઉંન્ડેશન કર્યુ હતુ. આજે દેશના સાત રાજ્યોમાંથી આવેલા કૃષિ વૈજ્ઞાનિકો અને કૃષિ સંશોધકો માટે યોજાયેલ બે દિવસના પ્રાકૃતિક કૃષિના સેમિનારમાં થનાર કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આ સેમિનાર પ્રાકૃતિક કૃષિના રાષ્ટ્રવ્યાપી અભિયાનને સફળ બનાવવામાં મહત્વની સાબિત થશે તેમ જણાવ્યું હતુ.આ કાર્યક્રમમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા યુનિવર્સિટી ખાતે પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લેવામાં આવી હતી, તેમજ ફાર્મ પરના મિશ્ર પાકો જોઈને તેની સરાહના કરી હતી તથા જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.નોંધનીય છે કે, દિવસના અંતે ટેક્નિકલ સેશનમાં કુરુક્ષેત્ર, હરિયાણાના ડો. હરી ઓમ જી, હિસાર યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ડો. બલજીત સહારન અને વિસ્તરણ શિક્ષણ નિયામક- કામધેનુ યુનિવર્સિટી ડૉ. એમ.એમ.ત્રિવેદી દ્વારા ઉપસ્થિત સૌને પ્રાકૃતિક કૃષિની વૈજ્ઞાનિક પધ્ધતિઓ વિષે માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા.ઉલ્લેખનીય છે કે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ (NMNF) હેઠળ ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીને સેન્ટર ઓફ નેચરલ ફાર્મિંગ (CoNF) તરીકે પસંદ કરવામાં આવી છે. જે અંતર્ગત તા.૨૩ અને તા.૨૪ જાન્યુઆરી દરમિયાન ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલ ખાતે નેશનલ વર્કશૉપ ફોર રિસોર્સ પર્સન ફ્રોમ સેન્ટર ઓફ નેચરલ ફાર્મિંગ (CoNF) અંડર નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગનું આયોજન કરવામાં આવ્યુ છે. જેનો મુખ્ય હેતુ પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારી વિશ્વને પ્રાકૃતિક કૃષિ માટે નવી દિશા અને વૈજ્ઞાનિક ઉકેલો પૂરા પાડવા તથા ભારતમાં કૃષિ ક્ષેત્રે આત્મનિર્ભરતા લાવવાનો છે.આ પ્રસંગે કેન્દ્રના કૃષિ વિભાગના સંયુક્ત સચિવ ફ્રેન્કલિન ખોબુંગ અને ઉપ સચિવ રચના કુમાર, જિલ્લા કલેકટર આષિશકુમાર, નાયબ વન સંરક્ષક, હાલોલ પ્રાંત અધિકારી, હરિયાણાની હિસાર યુનિવર્સિટીના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. બલજીત સહારન તેમજ દેશભરમાંથી આવેલા કૃષિ વૈજ્ઞાનિકો અને કૃષિ સેન્ટરના સંશોધકશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.














