
જૂનારાજના રોડની કામગીરી ચાલુ કરાવવા AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભા ગૃહમાં માંગ કરી
તાહિર મેમણ – ડેડીયાપાડા – 17/03/2026 – વિધાનસભા ગૃહમાં વન અને પર્યાવરણ વિભાગની માંગણીઓ પર આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે જુનારાજ ગામને જોડતો રોડ, જે વન વિભાગ દ્વારા અટકાવવામાં આવ્યો છે તેને તાત્કાલિક મંજૂરી આપવા માટે મુદ્દો ઉઠાવ્યો, અને કહ્યું કે, આ ગામ ચાલુ સરકારના સાત ટર્મના સાંસદ મનસુખભાઈ વસાવાનું હોવા છતાં આઝાદી પછી રોડ વન વિભાગ દ્વારા બનાવવા દેવામાં આવતો નથી. એકબાજુ કેવડિયામાં રાતોરાત પ્રોજેક્ટો મંજૂર કરીને કામ ચાલુ કરી દેવામાં આવે છે, ત્યાં વન વિભાગની પરવાનગીની જરૂર પડતી નથી, અને આદિવાસીઓના અવર જવર માટે રસ્તાઓ બનતા હોય તેને વન વિભાગ દ્વારા અટકાવવામાં આવે છે જે દુખદ બાબત છે. જેને કારણે લોકોને તકલીફોનો સામનો કરવો પડે છે. જુનારાજ જે પૌરાણિક ગામ હોય, અને તે ગામના લોકોએ કરજણ ડેમમાં પોતાની સોના જેવી જમીનો પણ આપી છે, છતાં તે ગામના લોકોને રસ્તો પણ ના મળે તે દુખદ બાબત છે. જે બાબતે ચૈતર વસાવાએ વિધાનસભા ગૃહમાં ધારદાર રજૂઆત કરી, જેને ધ્યાને રાખીને વનમંત્રી અને મુખ્યમંત્રી દ્વારા તે રસ્તાની મંજૂરી આજે જ અમે આપીએ છીએ તેવું જણાવવામાં આવ્યું, અને કામ સત્વરે પૂર્ણ થાય તેવું આશ્વાસન આપવામાં આવ્યું.
ચૈતર વસાવાએ વધુમાં, ઉકાઇ ડેમમાં ઉકાઇ પરિયોજનાના કારણે વર્ષ 1968 માં વિસ્થાપિત થયેલ પાડી, નાલ, ખોપી, હલગામ, ભાદોર, ધોધનવાડી, કાકરપાડા, સોરતા, મોટા કાકડીઆંબા, પરોડી, ધવલીવેર જેવા ગામો ઉમરપાડા તાલુકાના વડપાડા રેન્જમાં વર્ષોથી જંગલ જમીન ખેડી પોતાનું જીવન નિર્વાહ ગુજારે છે અને જેઓને 23 જેટલા ખેડૂતોને સનદ પણ સરકારે આપી છે અને બીજાના દાવા અરજી પડતર છે છતાં ગત વર્ષે વન વિભાગ અને પોલીસ ખાતા દ્વારા સ્થાનિક નેતા ઈશારે 200 જેટલા ઘરોને તોડી પાડવામાં આવ્યા અને 400 જેટલા ખેડૂતોના ઉભા પાકને જેસીબી દ્વારા નષ્ટ કરવામાં આવ્યા, અને 6 મહિલા સહિત 36 લોકો પર ખોટી એફઆઇઆર કરવામાં આવી અને હેરાન કરવામાં આવી રહ્યા છે જે હેરાનગતિ તાત્કાલિક બંધ કરીને તેમના પડતર દાવાઓ મંજૂર કરવામાં આવે તેવી ધારદાર રજૂઆત કરવામાં આવી.




