Rajkot: એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત કે.વિ.કે. તરઘડીયા ખાતે ૧૦૦ જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરાયું

તા.૩૦/૮/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તરઘડીયા ખાતે “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત પર્યાવરણના સંરક્ષણ હેતુથી ૧૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.
આ તકે કે.વી.કેના વડા ડો. જી. વી. મારવીયાએ કહ્યું હતું કે, આ અભિયાન એ એક જન ચળવળ છે અને લોકો વૃક્ષારોપણ કરીને તેમની માતા અને પૃથ્વી માતાને આદર આપવા ભાગ લઈ રહ્યા છે. વૃક્ષારોપણ સરકાર દ્વારા શરૂ કરાયેલ મિશન લાઇફના હેતુને પણ પરિપૂર્ણ કરે છે. જે પર્યાવરણ પ્રત્યે સભાન જીવનશૈલીનું જન આંદોલન છે. કૃષિમાં વૃક્ષો ઉગાડવું એ ટકાઉ ખેતી હાંસલ કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. વૃક્ષો જમીન,પાણીની ગુણવત્તામાં સુધારો તેમજ જૈવ વિવિધતામાં વધારો કરી ખેત ઉત્પાદકતા વધારવામાં મદદ કરે છે. વૃક્ષો લાકડા અને બિન લાકડાના ઉત્પાદનોમાંથી ખેડૂતો માટે વધારાની આવકનો સ્ત્રોત પણ પૂરો પાડે છે. આ ઝુંબેશમાં જમીનના અધોગતિ અને રણીકરણને રોકવા અને તેને ઉલટાવી દેવાની અપાર સંભાવનાઓ છે ત્યારે તેમાં સૌએ જોડાવું જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૫મી જૂન ૨૦૨૪ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૈશ્વિક અભિયાન “એક પેડ માં કે નામ” #Plant4Motherની શરૂઆત કરી હતી. આ વૈશ્વિક અભિયાનના ભાગ રૂપે સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીમાં સમગ્ર દેશમાં ૮૦ કરોડ અને માર્ચ ૨૦૨૫ સુધીમાં ૧૪૦ કરોડ રોપાઓ વાવવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં ભારતના જન-જન જોડાઈ રહ્યા છે.
આ કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાનિકો ડો. જે. એચ. ચૌધરી, પ્રો. ડી. પી. સાનેપરા, ડો. એમ. એમ. તાજપરા, ડો. જે. એન. ઠાકર, શ્રીમતી હેતલબેન મણવર તેમજ શ્રી અનુપ ડાભી, શ્રી સહદેવ રાઠવા, મનીશભાઈ વાછાણી, પાયલબેન ટાંક, અરવિંદભાઇ બેરાણી ઉપસ્થિત રહ્યા હતા.



