બનાસકાંઠામાં એલ.પી.જી. ગેસનો પુરતો પુરવઠો: નાગરિકોને અફવાઓથી દૂર રહેવા વહીવટી તંત્રની અપીલ

13 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠામાં ૩૭ ગેસ એજન્સીઓ અને ૦૩ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ મારફતે ગેસનો પુરવઠો આપવામાં આવી રહ્યો છે.પાલનપુર ખાતે જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને ગેસ એજન્સીના સંચાલકો સાથે બેઠક યોજાઈ
મધ્યપૂર્વ વિસ્તારમાં ઉભી થયેલી બદલાતી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને રાજ્યના નાગરિકોને ઘરેલું ઉપયોગ માટે એલ.પી.જી. ગેસ સીલીન્ડરનો પૂરતો અને નિયમિત પુરવઠો મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા સતત મોનીટરીંગ અને જરૂરી આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર તેમજ સંબંધિત વિભાગો દ્વારા ઓઈલ માર્કેટિંગ કંપનીઓ સાથે સમન્વય સાધીને ગેસ પુરવઠા વ્યવસ્થા સુચારૂ રહે તે માટે સતત પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં આજરોજ કલેકટર કચેરી, પાલનપુર ખાતે ગેસ એજન્સીના સંચાલકો સાથે બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલે જણાવ્યું કે, જિલ્લામાં હાલમાં કુલ ૩૭ ગેસ એજન્સીઓ કાર્યરત છે, જેમાં ત્રણ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ મારફતે ગેસનો પુરવઠો આપવામાં આવે છે. આ કંપનીઓ દ્વારા ગેસ સીલીન્ડરની સપ્લાય નિયમિત રીતે કરવામાં આવી રહી છે અને જિલ્લામાં ગેસનો પુરવઠો સુનિશ્ચિત રહે તે માટે યોગ્ય આયોજન કરવામાં આવ્યું છે.ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ હાલમાં બનાસકાંઠા જિલ્લામાં ગેસ સપ્લાય સંપૂર્ણપણે નિયમિત છે અને પુરવઠામાં કોઈપણ પ્રકારની અછત કે વિક્ષેપ સર્જાયો નથી. પરિણામે જિલ્લાની તમામ ગેસ એજન્સીઓને ગ્રાહકોની જરૂરિયાત મુજબ પૂરતા પ્રમાણમાં ગેસ સીલીન્ડર ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે.જિલ્લાના તમામ ગ્રાહકોને અપીલ કરવામાં આવે છે કે, તેઓ કોઈપણ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ ન કરે અને પોતાની જરૂરિયાત મુજબ જ ગેસ સીલીન્ડર બુકિંગ કરાવે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે એક જ ગ્રાહક દ્વારા ગેસ સીલીન્ડર બુકિંગ વચ્ચે ઓછામાં ઓછો ૨૫ દિવસનો સમયગાળો રાખવો ફરજિયાત રહેશે. આ નિર્ણયનો મુખ્ય હેતુ એ છે કે ગેસનો અનાવશ્યક સંગ્રહ ન થાય અને તમામ ગ્રાહકોને સમાન રીતે ગેસ સીલીન્ડર ઉપલબ્ધ રહે.
આ ઉપરાંત કોઈપણ વ્યક્તિ દ્વારા એલ.પી.જી. ગેસ સીલીન્ડરનો અનધિકૃત સંગ્રહ, કાળાબજારી અથવા નિયત કરેલી કિંમત કરતાં વધુ ભાવ વસુલ કરવામાં આવે તો તેની સામે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ – ૧૯૫૫ તથા એલ.પી.જી. કંટ્રોલ ઓર્ડર – ૨૦૦૦ હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ ગેસનો અનાવશ્યક સંગ્રહ ન કરે અને નિયમોનું પાલન કરીને ગેસ સીલીન્ડરનો ઉપયોગ કરે. સરકાર તથા સંબંધિત વિભાગો દ્વારા ગેસ પુરવઠાની વ્યવસ્થા પર સતત નજર રાખવામાં આવી રહી છે જેથી દરેક ગ્રાહક સુધી ગેસ સીલીન્ડર સમયસર પહોંચે.







