અમદાવાદ પ્લેન ક્રેશમાં 241 મુસાફરો સહિત અન્ય લોકોના મોતની આશંકા !!!

અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર 12 જાન્યુઆરીએ એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ટેક ઑફ કરતી વખતે ક્રેશ થયું હતું. આ વિમાન ઍરપોર્ટ પરથી બપોરે 1.38 વાગે ટેક ઑફ થયું હતું અને 1.40 વાગે દુર્ઘટના સર્જાઈ હતી. પ્રાથમિક અહેવાલો પ્રમાણે મેઘાણી નગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક આઇજીબી કમ્પાઉન્ડમાં આ ઘટના બની હતી. આ દરમિયાન દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેથી આસપાસના રહીશોમાં ભય ફેલાઈ ગયો હતો. પ્રાથમિક અહેવાલો પ્રમાણે, ટેક ઑફ વખતે વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાતાં આ ઘટના બની હતી. એવું પણ કહેવાય છે કે, આ પ્લેનમાં કોઈ ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાથી દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં અત્યાર સુધી 200 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.
મોટી દુર્ઘટનાના કારણે અમદાવાદ ઍરપોર્ટ પર અનિશ્ચિતકાળ સુધી બંધ કરવામાં આવ્યું છે. તમામ ફ્લાઇટ્સ આગામી નિર્દેશ ન આવે ત્યાં સુધી સ્થગિત કરાઈ હતી. ઈજાગ્રસ્તોની તાત્કાલિક સારવાર માટે ગ્રીન કોરિડોર બનાવાયો છે કેન્દ્રીય ગૃહમંત્રીએ ગુજરાતના CM સાથે ટેલિફોનિક વાતચીત કરી સમીક્ષા કરી છે. ડીજીસીએ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 12 જૂન, 2025ના રોજ એર ઇન્ડિયાનું વિમાન (AI-171) 1.38 વાગ્યે ટૅક ઑફ થયું હતું. જે બે મિનિટમાં જ 1.40 વાગ્યે પહેલાં વૃક્ષ અને પછી સિવિલ સ્ટાફ ક્વાર્ટર્સ અતુલ્યમ બિલ્ડિંગ સાથે ધડાકાભેર અથડાયુ હતું. આ ટૅક ઑફ થતાં જ પાયલોટ સુમિત સભરવાલે એટીસીને MAYDAY કૉલ આપ્યો હતો. પરંતુ એટીસી તરફથી કોઈ સિગ્નલ મળ્યું ન હતું અને ધડાકાભેર પ્લેન ક્રેશ થયું હતું. બિલ્ડિંગના પાયાના ભાગને મોટું નુકસાન થતાં બિલ્ડિંગ ધરાશાયી થવાની અણી પર છે.
ક્રેશ થયેલું વિમાન હોસ્ટેલ બિલ્ડિંગના ત્રીજા, ચોથા અને પાંચમા માળે પાંખની બાજુએથી અથડાયું હતું. આ ભયાવહ ટક્કરને કારણે બિલ્ડિંગને ભારે નુકસાન થયું છે અને તે ગમે ત્યારે તૂટી પડે તેવી શક્યતા છે. વિમાન અથડાયા બાદ બિલ્ડિંગમાં ભયંકર આગ લાગી હતી. આ બિલ્ડિંગમાં ઇન્ટર્ન ડોક્ટર અને તેમના પરિવારજનો સહિત અંદાજે 50થી વધુ લોકો રહેતા હતા. 8થી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે.
આગની ભીષણતાને કારણે કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા બિલ્ડિંગના ચોથા માળેથી કૂદયા હતા. આ ઘટનાને નજરે જોનાર લોકોનું કહેવું છે કે, એક વ્યક્તિએ એક બાળકનો જીવ બચાવવા માટે તેને ચોથા માળેથી નીચે ફેંક્યો હતો. જ્યારે, એક મહિલા પણ ચોથા માળેથી કૂદી હોવાથી તેને ગંભીર ઈજાઓ પહોંચી છે. નજરે જોનાર કેટલાંક લોકોનું કહેવું છે કે બિલ્ડિંગમાં આગ લાગતાં 8થી વધુ લોકો ચોથા માળેથી કૂદયા હતા. પ્લેન ક્રેશ અને બિલ્ડિંગમાં લાગેલી આગને કારણે કુલ 9થી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે, જોકે સત્તાવાર આંકડાઓની રાહ જોવાઈ રહી છે.
આ દરમિયાન, વિમાનનું અત્યંત મહત્ત્વપૂર્ણ બ્લેક બોક્સ ઍરપોર્ટ ઓથોરિટી દ્વારા સુરક્ષિત રીતે લઈ લેવામાં આવ્યું છે. આ બ્લેક બોક્સ વિમાન ક્રેશના કારણો અને તે સમયની પરિસ્થિતિ અંગેની મહત્ત્વની જાણકારી પૂરી પાડશે. સમગ્ર ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી છે.










