મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ચેટીચંડ ઉજવણીમાં સિંધી સમાજ સાથે સહભાગીતા નોંધાવી

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચેટીચંડ પર્વ નિમિત્તે અમદાવાદના નરોડામાં આયોજિત શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું અને સિંધી સમાજ સાથે સાંસ્કૃતિક ઉજવણીમાં ભાગ લીધો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત કાર્યક્રમમાં, મુખ્યમંત્રીએ સિંધી સમાજના યોગદાનને બિરદાવતા જણાવ્યું કે, ગુજરાતની પ્રગતિમાં સિંધી સમાજે મહત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું છે અને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના મંત્રને સાકાર કરવામાં મદદરૂપ બન્યો છે.
મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું કે, સિંધી સમાજે પરિશ્રમ અને સંકલ્પશક્તિ દ્વારા કોઈપણ પરિસ્થિતિને અવસરમાં પરિવર્તિત કરી સફળતાનો પરચમ લહેરાવ્યો છે. સિંધમાંથી ગુજરાત આવનાર સિંધી સમાજે ગુજરાતની સંસ્કૃતિમાં દૂધમાં સાકર જેવાં ભળી જઇ રાજ્યની ઉન્નતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
વડાપ્રધાન દ્વારા પ્રારંભ કરાયેલા ‘કેચ ધ રેઈન’, ‘એક પેડ માં કે નામ’ અને ‘સ્વચ્છ ભારત અભિયાન’માં સિંધી સમાજ સક્રિય રીતે જોડાય તેવી અપીલ પણ મુખ્યમંત્રીએ કરી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય પાયલ કુકરાણીએ રાજ્યના વિકાસમાં સિંધી સમાજના સતત યોગદાનની ખાતરી આપતાં મુખ્યમંત્રીના નેતૃત્વને બિરદાવ્યું.
ઉત્સાહ-ઉમંગથી ભરેલી આ ઉજવણીમાં, અમદાવાદની મેયર પ્રતિભાબહેન જૈન, પૂર્વ અમદાવાદના સાંસદ હસમુખભાઈ પટેલ, ધારાસભ્યો, કોર્પોરેટરો અને સિંધી સમાજના મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.







