FIR નહિ નોંધવા તાગડધિન્ના કરતી ગુજરાત પોલીસને સુધરી જવા DOP ની ચેતવણી

ગુજરાત પોલીસ દ્વારા ગુનાખોરીમાં ઘટાડો થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. બીજી તરફ ડાયરેક્ટર ઑફ પ્રોસિક્યુશને લખેલા એક પત્રએ ગુજરાત પોલીસ ની પોલ ખોલી નાંખી છે. પત્રમાં પોલીસની નકારાત્મક માનસિકતા અંગેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અરજી આપવા છતાં FIR નહીં નોંધનારી તેમજ વારંવાર ધક્કા ખવડાવવા બાબતે ગુજરાત પોલીસને ટકોર કરવામાં આવી છે.
ક્રાઈમ રેટમાં ઘટાડો થયો હોવાનું ગુજરાત પોલીસના અધિકારીઓ જણાવી રહ્યાં છે. પોલીસ દ્વારા ક્રાઈમ ચાર્ટના ચોક્કસ પાર્ટના આંકડા જાહેર કરાયા છે, પરંતુ પોલીસ સ્ટેશનોમાં કેટલી અરજીઓના થપ્પા પડ્યા છે તે મામલે બોલવા કોઈ અધિકારી તૈયાર નથી. સાયબર ક્રાઈમના વાસ્તવિક આંકડાઓ પણ અરજીઓમાં દબાઈ ગયા છે.
ગુનાખોરીના આંકડાઓની રમતમાં પોલીસ વર્ષોથી ગુજરાત સરકાર અને પ્રજાને રમાડતી આવી છે. જો કે, આ વખતે ફરિયાદ પક્ષ નિયામક અંબાલાલ આર. પટેલે ફરિયાદ નોંધવામાં અપનાવાતી પોલીસની કાર્યશૈલીને ખુલ્લી પાડી છે. ફરિયાદીને ધક્કા ખવડાવવા, પોલીસ સ્ટેશનમાં કલાકો સુધી બેસાડી રાખવા તેમજ અરજી આપવા છતાં પોલીસ ફરિયાદ નહીં નોંધવાની અનેક ફરિયાદ ડાયરેક્ટર ઑફ પ્રોસિક્યુશનની કચેરી સુધી પહોંચી છે. એટલે જ, ડાયરેક્ટર ઑફ પ્રોસિક્યુશનને પત્ર લખી સુધારો લાવવા માટે ચેતવણી આપી છે.
ડાયરેક્ટર ઑફ પ્રોસિક્યુશને વિકાસ સહાય DGP ગુજરાત તેમજ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરાના પોલીસ કમિશનર અને 32 જિલ્લાના પોલીસ અધિક્ષકને પત્ર લખ્યો છે. જેમાં પોલીસે ફરિયાદ લેવી જ પડે તે વાત પર ભાર મૂક્યો છે. FIR બાદ તપાસમાં પૂરાવો ના મળે તો લાગુ પડતી સમરી ભરી શકે છે. જો સિવિલ મેટર હોવાનું સામે આવે તો BNSS 189 મુજબ રિપોર્ટ કરી શકાશે. પોલીસ ફરિયાદ નોંધતી વખતે શું કાળજી રાખવી? ક્યારે ફરિયાદ નોંધવી? અને કેવી રીતે નિષ્પક્ષ-તટસ્થ તપાસ કરવી? તેના ચૂકાદાઓ ટાંકીને સૂચના આપવામાં આવી છે.





