મહીસાગર જિલ્લામાં લુણાવાડા ડો. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે રોજગાર ભરતી મેળો તેમજ ‘સ્વરોજગાર માર્ગદર્શન શિબિર’નું આયોજન કરવામાં આવ્યું

મહીસાગર જિલ્લામાં લુણાવાડા ડો. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે રોજગાર ભરતી મેળો તેમજ ‘સ્વરોજગાર માર્ગદર્શન શિબિર’નું આયોજન કરવામાં આવ્યું
**
લુણાવાડાના મોટા સોનેલા ખાતે આયોજિત ભરતી મેળામાં યુવાનોને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની ઉત્તમ તકો પૂરી પાડવામાં આવી.
રિપોર્ટર…
અમીન કોઠારી
મહીસાગર
મહીસાગર જિલ્લાના શિક્ષિત બેરોજગાર યુવાઓને રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવાના ઉમદા હેતુથી જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આજે લુણાવાડાના મોટા સોનેલા,ડૉ. બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો તેમજ ‘સ્વરોજગાર માર્ગદર્શન શિબિર’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતી મેળામાં જિલ્લાના ઉત્સાહી મહિલા અને પુરુષ ઉમેદવારો મોટી સંખ્યામાં જોડાયા હતા.
આ રોજગાર મેળાની વિશેષતા એ રહી કે તેમાં વિવિધ ક્ષેત્રના અંદાજે ૧૦ જેટલા પ્રતિષ્ઠિત નોકરીદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ એકમો દ્વારા ટેકનિકલ અને નોન-ટેકનિકલ એમ બંને શ્રેણીમાં ૧૩૦૦થી વધુ ખાલી જગ્યાઓ માટે સીધી ઇન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ધોરણ ૧૦ અને ૧૨ પાસ, આઈ.ટી.આઈ., ડિપ્લોમા તેમજ ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતા ૧૮ થી ૩૫ વર્ષની વય મર્યાદાના અનુભવી અને બિન-અનુભવી ઉમેદવારોને તેમની યોગ્યતા મુજબ રોજગારીની તક આપવામાં આવી હતી.
ભરતી મેળાની સાથે-સાથે આયોજિત માર્ગદર્શન શિબિરમાં નિષ્ણાતો દ્વારા ઉમેદવારોને સરકારની વિવિધ રોજગારલક્ષી અને સ્વરોજગારલક્ષી યોજનાઓ વિશે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી. જે યુવાનો પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગે છે, તેમને બેંક લોન અને સબસિડી સહાય અંગેનું પણ સચોટ માર્ગદર્શન અપાયું હતું.
આ પ્રસંગે પસંદગી પામેલા ઉમેદવારોએ આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ઘરઆંગણે આ પ્રકારે પારદર્શક રીતે ભરતી પ્રક્રિયા યોજવા બદલ તેઓ રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રના આભારી છે. આ મેળાના માધ્યમથી જિલ્લાના અનેક પરિવારોને આર્થિક સધ્ધરતા પ્રાપ્ત થશે.




