જિલ્લા કલેક્ટરે દાંડી માર્ગ અને સરકારી જમીન ઉપરના દબાણો દૂર કરવા તાકીદ કરી.

જિલ્લા કલેક્ટરે દાંડી માર્ગ અને સરકારી જમીન ઉપરના દબાણો દૂર કરવા તાકીદ કરી.
તાહિર મેમણ -આણંદ – 16/11/2024 – આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને આજરોજ સર્કિટ હાઉસ ખાતે સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઉપસ્થિત સંકલન સમિતિના અધિકારીઓને જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ જન પ્રતિનિધિઓના પ્રજાલક્ષી પ્રશ્નોનો નિયત સમયમર્યાદામાં હકારાત્મક નિકાલ લાવવા માટે સૂચના આપી હતી. આ ઉપરાંત જનપ્રતિનિધિઓ દ્વારા પ્રજાલક્ષી પ્રશ્નો માટે કરેલ રજૂઆતનો પણ તુરંત જ પ્રતિસાદ આપવા પણ જિલ્લા કલેક્ટરએ અમલીકરણ અધિકારીઓને જણાવ્યું હતું.
કલેકટરએ આણંદ જિલ્લાવાસીઓની પ્રાથમિક સુવિધાના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવા, સરકારી જમીન ઉપરના દબાણો માપણી મુજબ જે દબાણ નક્કી થતા હોય તેને તાકીદે દૂર કરવા જણાવ્યું હતું, આ ઉપરાંત રોડ રસ્તા ના મંજૂર થયેલા કામો વહેલી તકે શરૂ કરી સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવા પણ તેમણે અધિકારીઓને સૂચના આપી હતી, ઉપરાંત જિલ્લામાં દાંડી માર્ગ ઉપર કરવામાં આવેલ દબાણો દૂર કરવા પણ તેમણે જણાવ્યું હતું. સાથે-સાથે જિલ્લામાં યોજવામાં આવી રહેલ મહેસુલી સેવા સેતુ નો લાભ લઈ મહેસુલી રેકોર્ડ અધ્યતન બનાવવા તથા રેશનકાર્ડમાં ઈ કેવાયસી કરાવી લેવા અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં બોરસદના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય કમલેશભાઈ પટેલ, અમિતભાઈ ચાવડા, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેકટર ઋતુરાજ દેસાઈ, પેટલાદના મદદનીશ કલેકટર હિરેનભાઈ બારોટ સહિત સંકલન સમિતિના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.




