આણંદ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા વિદ્યાનગર ખાતે વ્યસન મુક્તિ કાર્યક્રમ તથા ડેન્ગ્યુ વિરોધી માસ વર્કશોપ યોજાયો
આણંદ, શુક્રવાર :: રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ પ્રોગ્રામ અંતર્ગત “ટોબેકો મુક્ત યુથ” કેમ્પેઇનની ઉજવણીના ભાગરૂપે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.આર.બી. કાપડીયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા વિદ્યાનગર સ્થિત વી.પી. સાયન્સ કોલેજ ખાતે વ્યસન મુક્તિ કાર્યક્રમ અને ડેન્ગ્યુ વિરોધી માસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે એપેડેમિક મેડિકલ ઓફિસર ડૉ.રાજેશ પટેલે વિદ્યાર્થીઓને તમાકુની આડ-અસરો, તમાકુથી થતા આર્થિક-સામાજિક ગેરફાયદાઓ તથા તમાકુ નિયંત્રણ અધિનિયમના કાયદાની સમજ આપી હતી. આ ઉપરાંત તેમણે મેલેરીયા, ડેન્ગ્યુ અને ચિકનગુનીયા જેવા વાહકજન્ય રોગોના નિયંત્રણ અને અટકાયત વિશે વિસ્તૃત માહિતી આપીને મચ્છરના ઈંડામાંથી મચ્છર કેવી રીતે પેદા થાય છે તેની જાણકારી આપી હતી.
આ તકે વિદ્યાર્થીઓને તમાકુના વ્યસનથી મુક્ત થવા અને પોતાના ઘર-સમાજ તથા ગામને તમાકુ મુક્ત કરવા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી, તેમજ પોરા અને મચ્છરનું જીવંત નિદર્શન બતાવવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલશ્રી પિયુષભાઈ લશ્કરી, એન.એસ.એસ પ્રોગ્રામ કોઓર્ડીનેટર ડૉ. રાજીવ ભટ્ટી, ઝુલોજી વિભાગના હેડ ડૉ. નિકુંજ ભટ્ટ, શ્રી અતુલભાઈ પટેલ, જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ, વિદ્યાનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.