સત્યેન્દ્ર પેકેજીંગ ખાતે કામ કરતા કામદારોએ મતદાન કરવાના લીધા શપથ
તાહિર મેમણ – આણંદ 02/04/2024- લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત આગામી ૭ મી મે, મંગળવારના રોજ યોજાનાર મતદાનમાં જિલ્લાનો દરેક મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ વિવિધ ઔદ્યોગિક એકમોમાં કામ કરતાં કામદારો મતદાન કરે અને લોકશાહીને મજબૂત બનાવે તે માટે જિલ્લા ઔદ્યોગિક સ્વાસ્થ્ય અને સલામતી કચેરીના મદદનીશ નિયામકશ્રી રીનાબેન રાઠવા દ્વારા જિલ્લા ના વિવિધ ઔદ્યોગિક એકમો ખાતે મતદાર જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
આણંદ વિધાનસભા મતવિસ્તારમા આવેલ સત્યેન્દ્ર પેકેજીંગ લિમિટેડ કંપની ખાતે શ્રી રીનાબેન રાઠવા દ્વારા મતદાન જાગૃતિ અર્થે મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે કંપની ખાતે ફરજ બજાવતા કર્મચારીઓને મતદાન અવશ્ય કરવું જોઈએ, મતદાન કરવું એ આપણી ફરજ છે અને મતદાન કરીને લોકશાહીને મજબૂત બનાવવામાં પોતાનો ફાળો આપવાની વાત સમજાવીને એકમના કર્મચારીઓને મતદાન અવશ્ય કરવા માટે ના શપથ લેવડાવવામાં આવ્યાં હતાં.
ઔદ્યોગિક એકમોની મુલાકાત દરમિયાન રીનાબેન રાઠવાએ મતદાનના દિવસે ઔદ્યોગિક એકમ ખાતે ફરજ બજાવતા કામદાર પોતાના મતદાનથી વંચિત ન રહી જાય તે માટે કામદારોને મતદાન કરવા જવા માટે ખાસ સમય ફાળવવા જણાવ્યું હતું અને મતદાન કરવા જાય ત્યારે સવેતન રજા આપવાની રહેશે તેમ પણ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, આણંદ લોકસભા સામાન્ય ચૂંટણીમાં જિલ્લામાં વિવિધ ઔધોગિક એકમો ખાતે હજારોની સંખ્યામાં કામ કરતા કામદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે અને લોકશાહીના પર્વમાં પોતાની સહભાગિતા નોંધાવે તે માટે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃત્તિના કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે.