અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : આખરે…ટીંટોઇ પોલીસે સરકારી બસ પર પથ્થરમારો કરનાર આરોપી ઝડપ્યો
અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી વાહનોની સુરક્ષા અંગે ચિંતાજનક પરિસ્થિતિ ઉભી થઈ છે. તાજેતરમાં સરકારી બસ પર થયેલા પથ્થરમારાની ઘટનાએ લોકોમાં ચકચાર મચાવી હતી.મેઘરજ તાલુકાના ટીંટોઇ પોલીસ મથક હદમાં આવેલી આ ઘટનામાં સરકારી એસ.ટી. બસ પર અજાણ્યા શખ્સે પથ્થરમારો કરી બસના કાચ તોડી નાખ્યા હતા, જેના કારણે આશરે ₹11,000થી વધુનું નુકસાન થયું હતું.
ઘટનાની ગંભીરતા સમજીને ટીંટોઇ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. પી.આઈ. એ.આઈ. ચાવડાના માર્ગદર્શન હેઠળ બાતમીદારોની માહિતી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે આરોપીની ઓળખ કરી ઝડપી કાર્યવાહી હાથ ધરી.પોલીસે સુમિત રમણભાઈ ખરાડી (રહે. શાંતિપૂરા) ને ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ ગુનાની કબૂલાત આપ્યા હોવાની માહિતી મળી છે.આ ઘટનાએ ફરી એકવાર ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી વાહનોની સુરક્ષા અંગે પ્રશ્નો ઊભા કર્યા છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે, આવી ગેરકાયદેસર હરકતો કરનારાઓ વિશે તરત પોલીસને જાણ કરી કાયદાકીય કાર્યવાહી માં સહયોગ આપે.