
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
શામળાજી – ડબ્બા આપવાના મુદ્દે આસોપાલવ હોટલમાં હુમલો : કુહાડી વડે કાઉન્ટર તોડ્યો, માલિક અને મેનેજર પર મારામારી ની ઘટના – 4 લોકો સામે નોંધાઈ ફરિયાદ
અરવલ્લી (શામળાજી): અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક અસાલ ગામની સીમમાં આવેલી આસોપાલવ હોટલમાં નાની બાબત મોટો ઝઘડો બનતા તોડફોડ અને મારામારીની ગંભીર ઘટના સામે આવી છે. બનાવ અંગે હોટલ ચાલકે ચાર લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.ફરિયાદ મુજબ તા. 29 માર્ચ 2026ના રોજ સાંજે આશરે 5:15 વાગ્યે ખીલોડા ગામના પ્રવિણભાઈ કાવજીભાઈ ખરાડી હોટલ પર આવી ભોજન પાર્સલ માટે 10 ખાલી પ્લાસ્ટિક ડબ્બાની માંગણી કરી હતી. હોટલના મેનેજરે ડબ્બા પર હોટલનું નામ લખેલું હોવાથી આપવાની ના પાડતા આરોપી ઉશ્કેરાઈ ગાળો બોલવા લાગ્યા હતા.ત્યારબાદ આરોપીએ પોતાના ઓળખીતાઓને ફોન કરીને બોલાવ્યા હતા. થોડા સમય પછી નાદિસણ ગામના જયેન્દ્રસિંહ પદમસિંહ ચૌહાણ બે અજાણ્યા શખ્સો સાથે હોટલ પર આવ્યા હતા. જયેન્દ્રસિંહના હાથમાં રહેલી કુહાડી વડે હોટલના કેશ કાઉન્ટર પર હુમલો કરી પથ્થર તોડી નુકસાન પહોંચાડ્યું હતું
આ ઉપરાંત ચારેય આરોપીઓએ હોટલના માલિક અકબરઅલી નુરમહમદ અગારિયા અને મેનેજર સાથે મારામારી કરી લાતો-મુક્કાનો હુમલો કર્યો હતો. બનાવમાં હોટલને અંદાજે ₹ 10,000vનું નુકસાન થયું હોવાનું જણાવાયું છે.બનાવ દરમિયાન પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી વધુ ઝઘડો અટકાવ્યો હતો. આરોપીઓએ જતા પહેલા જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. સમગ્ર ઘટના હોટલના CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું પણ બહાર આવ્યું છે.
પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ હોટલમાં થયેલ હુમલાને લઈ હોટલમાં જમી રહેલા લોકોમાં પણ ભય જોવા મળ્યો હતો અને નાસભાગ થયા હોવાની પણ માહિતી પ્રાપ્ત થઈ હતી જિલ્લામાં હાલ થઈ રહેલી મારામારી ની ઘટના ને લઈ પણ અનેક સવાલો ઊભા થયા છે. સાથે આરોપીઓ અલગ અલગ ગ્રામપંચાયતમાં હોદ્દો ધરાવતા હોવાની વાતો પણ લોકોમાં ચર્ચાઈ રહી છે ત્યારે આ બાબતે જવાબદાર અધિકારીઓ યોગ્ય તપાસ કરી કડક કાર્યવાહી કરે તે જરૂરી છે તેવું લોકો કહી રહ્યા છે જોકે હવે પોલીસ આરોપીઓ ને પકડે છે કે નહીં તેના પર જોવું રહ્યું.!!!






