GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

આયુર્વેદો અમૃતાનામ-જામ.યુનિ.૫૯ વર્ષ

 

 ભવ્ય અને દિવ્ય વારસાના ૫૯ વર્ષ : ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી ઊજવી રહી છે ૫૯મો સ્થાપના દિવસ

જામનગર,(ભરત ભોગાયતા)

ગુજરાત – આયુર્વેદના જ્ઞાનના પ્રચાર અને પ્રસાર માટે છેલ્લા 59 વર્ષથી સતત કાર્યરત, વિશ્વની સૌથી પહેલી આયુર્વેદ યુનિવર્સિટી, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી આ વર્ષે પોતાનો ૫૯મો સ્થાપના દિવસ ધામધૂમથી ઉજવી રહી છે. આ ઉજવણી ૫ જાન્યુઆરી, ૨૦૨૫ રવિવારના રોજ ક્રિકેટ અને સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે શરૂ થઈ છે, જે તારીખ 18 જાન્યુઆરી, 2025 સુધી ક્રિકેટ ટુર્નામેન્ટ રમીને ઊજવવામાં આવશે.

જામનગર શહેર અને રાજવી પરીવાર સાથે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના તાણાવાણા જોડાયેલા છે. માનનીય જામસાહેબના માર્ગદર્શન સાથે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દેશ-વિદેશમાં પોતાના વિદ્યાર્થીઓ-શિક્ષકો-સંશોધકો દ્વારા ભારતના આ અદ્વિતીય જ્ઞાનને પ્રસરાવી રહી છે, ત્યારે યુનિવર્સિટીના સ્થાપના દિવસે સવારે 8.30 વાગ્યે મુખ્ય મહેમાન તરીકે યુવરાજ શ્રી અજયસિંહજી જાડેજા (ભૂતપૂર્વ ક્રિકેટર અને જામનગર રાજપરિવારના માનનીય સભ્ય)એ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદઘાટન કર્યું હતું. પ્રથમ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પટાંગણમાં ધન્વંતરી ભગવાની મૂર્તિનું પૂજન કરીને તેમણે પ્રભુને સર્વની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

ત્યાર બાદ યુવરાજ શ્રી અજયસિંહ જાડેજા ધન્વંતરી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આવ્યા હતા. યુનિવર્સિટી ધ્વજનું આરોહણ કરીને તેમણે મંજને શોભાવ્યુ હતુ. સાથે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી ડૉ. મુકુલ પટેલ, કુલસચિવ શ્રી ડૉ. અશોક ચાવડા, શારીરિક સ્વાસ્થ્ય શિક્ષણના ડાયરેક્ટર શ્રી હર્ષવર્ધન ઝાલા, બોર્ડ ઑફ ગવર્નર્સના સભ્ય ડૉ. ભરત કલસરિયા તથા ચીફ અકાઉન્ટ ઑફિસર એમ. બાદી પણ ઉપસ્થિત રહ્યા હતા.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટર તરીકે ખૂબ ખ્યાતિ મેળવનાર યુવરાજ શ્રી અજયસિંહ જાડેજાએ મંચ પરથી સંબોધન કરતાં પોતાની જામનગરના દિકરા તરીકે જ ઓળખાણ આપી હતી. તેમણે પોતાના બાળપણની ક્રિકેટની યાદોને તાજી કરતાં જણાવ્યું હતું, ‘આ જ ગ્રાઉન્ડમાં અમે પણ ક્રિકેટ રમીને મોટા થયા છીએ. તમારી જેમ જ ટેનિસ બોલથી ક્રિકેટ રમતાં હતાં, અને આજે પણ અમે આ માટી સાથે જોડાયેલા છીએ. પૂજ્ય જામ સાહેબ શ્રી રણજીતસિંહજી બાપુએ જામનગરમાં ક્રિકેટના જે મૂળ નાખ્યા છે, તે હવે અમારા બધાના લોહીમાં વણાવા લાગ્યું છે.’ આ પ્રસંગે યુવરાજ શ્રીએ પોતાના તમામ પૂર્વજો, વડીલોને યાદ કરીને આયુર્વેદ યુનિવર્સિટી સાથેનો રાજ પરિવારનો અનોખો, વર્ષો જૂનો સંબંધ પણ વાગોળ્યો હતો.

આ પ્રસંગે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના માનનનીય કુલપતિશ્રી ડૉ. મુકુલ પટેલે પણ જામસાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી બાપુ સાથેના તેમના વિદ્યાર્થીકાળના સંસ્મરણો વાગોળ્યા હતા, અને ક્રિકેટ પ્રેમ તથા આયુર્વેદ અંગેના બાપુસાહેબના પ્રેમ વિશે પણ વાત કરી હતી. તેમનું કહેવું હતું કે ‘આ ક્રિકેટ ટુર્નામેન્ટ વિદ્યાર્થીઓમાં રમતગમતની ભાવના અને સૌહાર્દને પ્રોત્સાહન આપશે.’

ત્યાર બાદ આ ક્રિકેટ ટુર્નામેન્ટને ઔપચારિક રૂપે શરૂ કરીને માનનીય યુવરાજશ્રી અજયસિંહજી જાડેજાજી તથા ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી ડૉ. મુકુલ પટેલે ગ્રાઉન્ડ પર આવીને એક બૉલની રમત રમી હતી. ડૉ. મુકુલ પટેલે બૉલિંગ કરી હતી અને યુવરાજશ્રીએ બેટિંગ કરીને વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો.

આ ઉજવણીમાં સમગ્ર રાજ્યમાંથી સ્ટાફ, વિદ્યાર્થીઓ, પૂર્વવિદ્યાર્થીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે, જે આ વિશિષ્ટ અવસરને યાદગાર બનાવશે. આયુર્વેદનું મૂલ્ય અને તેના આ ભવ્ય વારસાને સામાન્ય જીવનમાં વણી લેવાના પ્રયાસ સાથે જ્યારે ભારત દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રતિબદ્ધ છે, ત્યારે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી પણ તે જ દિશામાં આગળ વધીને પોતાના પ્રયત્નો કરી રહી છે.

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના સ્થાપના દિન નિમિત્તે આયુર્વેદના વારસાને આગળ વધારવામાં પોતાનું યોગદાન આપનાર પૂર્વ આચાર્યો તથા સંશોધકોને યાદ કરતાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી ડૉ. મુકુલભાઈ પટેલનું કહેવું છે, કે ‘આયુર્વેદનું જ્ઞાન એ દરેક રીતે માનવમાત્રના જીવનમાં સમૃદ્ધિ વધારનારું સાબિત થયું છે. માત્ર ગુજરાત જ નહીં, પરંતું, ભારત અને વિશ્વભરમાં આયુર્વેદને ધારાધોરણ પ્રમાણેના અભ્યાસના ઢાંચામાં ઢાળવામાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી સર્વ પ્રથમ રહી છે. શૈક્ષણિક ક્ષેત્રે આયુર્વેદનો અભ્યાસક્રમ ગોઠવાયો, મેઇનસ્ટ્રીમ મેડીકલમાં તેનો ઉમેરો થયો, દેશ વિદેશના વિદ્યાર્થીઓ આ જ્ઞાનને મેળવવા માટે પ્રતિબદ્ધ થયા છે, ત્યારે આ દરેક તબક્કે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનું યોગદાન અતિ મહત્ત્વનું રહ્યું છે. આજે આ સંસ્થાને આ મુકામે પહોંચાડવામાં પોતાનો ફાળો આપનાર તમામને હું હ્રદયથી વંદન કરું છું, તમામનો હું આભાર માનું છું.’

______________________

—-regards

bharat g.bhogayata

Journalist ( gov.accre.)

b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)

 

jamnagar

8758659878

bhogayatabharat@gmail.com

Back to top button
error: Content is protected !!