પ્રભારી મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વાવ – થરાદ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

28 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
વિકાસ કામોની વહીવટી મંજૂરી મળ્યા બાદ ઝડપથી કામગીરી હાથ પર લેવા સૂચન કરતા મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ જિલ્લા આયોજન મંડળના અધ્યક્ષશ્રી તથા વાવ – થરાદ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તાલુકા સેવા સદન લાખાણી ખાતે આજરોજ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા આયોજન મંડળની વર્ષ-૨૦૨૬-૨૭ હેઠળ વિવેકાધીન યોજના હેઠળ જિલ્લાના ૦૮ તાલુકાના રૂ.૧૪૧૬.૫૦ લાખના ૪૨૬ કામો તથા જિલ્લાની ૧ નગરપાલિકાના રૂ.૫૨ લાખના ૦૬ કામો મંજૂર કરવામાં આવ્યા હતા. બેઠક દરમિયાન જિલ્લામાં પાણી પુરવઠો, રોડ-રસ્તા, સ્વાસ્થ્ય, વીજળી, સ્વચ્છતા અને ગટર લાઇન સહિતના વિકાસ કાર્યો અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત આદિજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટેની જોગવાઈઓ અંતર્ગત કરવામાં આવતા કામો અંગેની ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન વાવ – થરાદ જિલ્લામાં વિકાસના કામોની રજૂઆતોના ત્વરિત નિરાકરણ માટે સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.આ પ્રસંગે અધ્યક્ષશ્રી ઋષિકેશ ભાઈ પટેલે દરેક વિભાગના અધિકારીશ્રીઓ તથા કર્મચારીઓને વિકાસ કામોની વહીવટી મંજૂરી મળ્યા બાદ ઝડપથી કામગીરી હાથ ધરી ગુણવત્તા અને તકેદારી સાથે પૂર્ણ કરવા માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ વાવ – થરાદ જિલ્લામાં યોજનાકીય કાર્ય અંગે વધુ સજાગતા રાખી અસરકારક કામગીરી કરવા સંબંધિત વિભાગોને સૂચના આપી હતી. આ બેઠકમાં મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર , દિયોદર ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણ, જિલ્લાના પદાધિકારીશ્રીઓ, જિલ્લા કલેકટરશ્રી જે. એસ.પ્રજાપતિ , જિલ્લા વિકાસ અધિકારી શ્રી કાર્તિક જીવાણી, જિલ્લા આયોજન અધિકારીશ્રી સહિતના જિલ્લાના ઉચ્ચ અધિકારી -કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.








