આણંદમાં ફૂડ સેફટી વિભાગની કાર્યવાહી:130 ખાણીપીણીના લારી-ગલ્લાઓની તપાસ કરવામાં આવી.

આણંદમાં ફૂડ સેફટી વિભાગની કાર્યવાહી:130 ખાણીપીણીના લારી-ગલ્લાઓની તપાસ કરવામાં આવી.
તાહિર મેમણ – આણંદ – 30/07/2025 – આણંદ જિલ્લાના ફૂડ સેફટી વિભાગે ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને સ્ટ્રીટ ફૂડ વેચતી લારીઓની વિસ્તૃત તપાસ હાથ ધરી છે. આ અભિયાન અંતર્ગત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કુલ 130 ખાણીપીણીના લારી-ગલ્લાઓની તપાસ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન વિદ્યાનગર ઇસ્કોન મંદિર રોડ, આણંદ ટાઉનહોલ પાસે, ખાઉંધરા ગલી, નવા બસ સ્ટેન્ડ પાસે, ગામડી વડ અને ગ્રીડ ચોકડી રોડ પર તપાસ કરવામાં આવી. ખંભાત ખાતે બસ સ્ટેશન, ટાવર પાસે, સ્ટેશન રોડ, પ્રેસ રોડ અને ડોક્ટર આંબેડકર સર્કલ પાસેના સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓની પણ તપાસ કરવામાં આવી.
આ ઉપરાંત સોજીત્રા ચોકડી, સોજીત્રા બસ સ્ટેન્ડની આસપાસના વિસ્તાર તેમજ ચાંગા અને ચાંગા યુનિવર્સિટીની આસપાસમાં આવેલ ખાણીપીણીની લારી-ગલ્લાઓની પણ તપાસ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન 22 જેટલા ખાદ્ય પદાર્થોના નમૂના લઈને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર આણંદના જણાવ્યા અનુસાર, લેબોરેટરીનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
તપાસ દરમિયાન જોવા મળેલ બિનઆરોગ્યપ્રદ ખાદ્ય ચીજોનો કુલ 88 કિલોગ્રામનો જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે. સાથે જ 6 જેટલી પેઢીઓને હાઈજીન તેમજ સેનિટેશન બાબતે સુધારા કરવા અંગેની નોટિસ આપવામાં આવી છે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આણંદ જિલ્લાના લારી-ગલ્લાવાળાઓ અને સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓને સેનિટેશન અને હાઈજીન અંગે જરૂરી સૂચના તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. વિક્રેતાઓને એપ્રોન, કેપ પહેરવા અને નિયમિત રૂપે સાફ-સફાઈ રાખવા પણ જણાવવામાં આવ્યું છે.





