GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી જિલ્લામાં જુલાઇ-‘ડેન્ગ્યુ વિરોધી માસ’ અંતર્ગત ઘરે ઘરે સર્વે હાથ ધરાયો..

વાત્સલ્યમ સમાચાર
નવસારી

નવસારીના આરોગ્ય વિભાગના વાહકજન્ય રોગ નિયંત્રણ વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગોનાં નિયંત્રણ માટે સર્વે ઝુંબેશ હાથ ધરાયો*

*પ્રા.આ.કેંદ્ર/શહેરી પ્રા.આ.કે.ના આરોગ્ય કર્મચારીઓ દ્વારા ૪,૪૦,૫૨૩ ઘરોનો સર્વે કરી ૧૨,૮૯,૯૦૪ પાત્રો ચેક કરવામાં આવ્યા*

*જિલ્લામાં આવેલ તળાવ, પડતર કુવા, ખાડા ખાબોચીયા, હવાડા, હેચરી સહિત કુલ-૧૧૯૪ સ્થળોએ ૨૧,૧૬૨ ગપ્પી ફીશ મુકવામાં આવી*

નવસારી જિલ્લા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાજેન્દ્ર રંગુનવાલા, જિલ્લા મેલેરીયા અધિકારી ડો. ભાવેશ પટેલના માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લામાં આવેલ તમામ ગામ/વોર્ડમાંમાં જુલાઈ માસ અંતર્ગત મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે ઘરે ઘરે ફરી સર્વે તથા મેલેરિયા-ડેંગ્યુ સર્વેલન્સ, એન્ટીલાર્વલ, ફોગીંગ, ટાયરો, કેરબા, પીપડા તેમજ નકામા બિનવપરાશી કાટમાળનો નિકાલ, આરોગ્યલક્ષી જન જાગ્રુતિ અર્થે વિવિધ કામગીરી ઝુંબેશ સ્વરૂપે કરવામાં આવી હતી. મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે ઝુંબેશનાં ભાગરૂપે જુલાઇ માસની ગત તા.૦૧-૦૭-૨૫ થી તા.૨૦-૦૭-૨૫ દરમ્યાન પ્રા.આ.કેંદ્ર/શહેરી પ્રા.આ.કે.ના આરોગ્ય કર્મચારીઓ દ્વારા ૪,૪૦,૫૨૩ ઘરોનો સર્વે કરી ૧૨,૮૯,૯૦૪ પાત્રો ચેક કરવામાં આવેલ છે જેમાથી કુલ ૨૫૫૪ પોઝીટીવ પાત્રો તથા ૪,૩૧,૪૧૮ પાત્રોમાં અબેટ ટ્રીટમેન્ટની કામગીરી કરવામાં આવી છે.

જિલ્લામાં અર્બન વિસ્તારમાં મુકવામાં આવેલ ૦૯ વેકટર કંટ્રોલ ટીમના ૪૫ સભ્યો દ્વારા અર્બન વિસ્તાર ખાતે એંટીલાર્વલ કામગીરી જેમાં ટેમીફોસ, ડાઇફલુબેંઝુરોન છંટકાવ, ઓઇલ બોલ, સોર્સ રીડકશનની કામગીરી કરવામાં આવી રહી છે.

ચાલુ માસે રાજય કક્ષાની સુચના મુજબ ઝુંબેશના ભાગરૂપે નવસારી જિલ્લામાં ગત તા.૨૧-૦૭-૨૫ થી તા.૩૦-૦૭-૨૫ દરમ્યાન આરોગ્ય કર્મચારી દ્વારા હાઉસ ટૂ હાઉસ સર્વેલન્સ કામગીરીનો રાઉન્ડ કરવામાં આવી રહ્યા છે જેમાં ટીમ દ્વારા દરેક ઘરોની રૂબરૂ મુલાકાત કરી તમામ ઇંટ્રા તથા પેરાડૉમેસ્ટીક એંટીલાર્વલ કામગીરી તથા ફીવર કેસની તપાસ કરવામાં આવી રહી છે અને લોકોને વાહકજનિત રોગની આઇ.ઇ.સી.-એસ.બી.સી.સી. કરવામાં આવે છે.
જુલાઇ માસ દરમ્યાન તા.૦૫-૦૭-૨૫ થી તા.૧૦-૦૭-૨૫ દરમિયાન બાયોલોજીકલ ગપ્પી ફીશ ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવામાં આવી હતી. જેમાં જિલ્લામાં આવેલ તળાવ, પડતર કુવા, ખાડા ખાબોચીયા, હવાડા, હેચરી, અન્ય સ્થળો એમ કરીને ૧૧૯૪ સ્થળમાં ૨૧,૧૬૨ ગપ્પી ફીશ મુકવામાં આવી છે.

નવસારી જિલ્લાના નાગરિકોને આરોગ્ય વિભાગ દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે કે, ડેન્ગ્યુ મેલેરિયાના ફેલાવા માટે જવાબદાર મચ્છર ચોખ્ખા પાણીમાં ઉત્પન્ન થાય છે. જેથી પાણીસંગ્રહના વાસણો તેમજ પાણીની ટાંકીઓ હવાચુસ્ત ઢાકણથી બંધ રાખવા અને પાણી સંગ્રહના વાસણો દર અઠવાડિયે ધોઇને સાફ કરવા, ફુલદાની, કુલર, મનીપ્લાન્ટ, વગેરેનું પાણી દર બે થી ત્રણ દિવસે બદલવું જેથી ડેન્ગ્યુ. મેલેરિયાના રોગના ફેલાવા માટે જવાબદાર મચ્છરોની ઉત્પત્તિ અટકાવી શકાય. તથા ઘરના ધાબા પર વરસાદી પાણીનો ભરાવો ન થાય તેની કાળજી રાખવી તાવ આવે ત્યારે આરોગ્ય કર્મચારીઓ અથવા નજીકના સરકારી આરોગ્ય કેંદ્ર્નો સંપર્ક કરી લોહીની તપાસ કરાવી, રોગ જણાય તો તાત્કાલિક સંપુર્ણ સારવાર લેવી, તેમજ મચ્છરદાનીમાં જ સુવાનો આગ્રહ રાખવો, તથા ઘરે આવતા આરોગ્ય કર્મચારીને પુરતો સહકાર આપવો.

આ ઉપરાંત  લોકોને ચાલુ વર્ષની ડેન્ગ્યુ થીમ “Check, Clean, Cover : Steps to defeat Dengue”  -“ડેન્ગ્યુને હરાવવા માટે આપના ઘરના પાણીના ભરેલા પાત્રો તપાસો, તેની સફાઇ કરો અને પાત્રો ઢાંકીને રાખો” નો પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. આ સાથે નાગરીકો દ્વારા દર રવિવારે સવારે ૧૦ વાગ્યે ૧૦ મીનીટનો સમય પોતાના માટે આપે અને પોતાના ઘરમાં તથા ઘરની આસપાસના ૧૦ મીટર વિસ્તારમાં તમામ પાત્રો કે પાણીના વાસણોની સફાઈ કરો તથા નકામી/બિનજરૂરી ચીજ-વસ્તુઓનો નિકાલ કરવા અનુરોધ કરી ડેન્ગ્યુ, મેલેરિયાના રોગના નિયંત્રણ માટે જનભાગીદારીનો હિસ્સો બનવા નવસારી જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!