
ભરૂચ ભૂસ્તર વિભાગ દ્નારા ૩૦ દીવસમાં રૂ.૮૭ લાખની ખનીજ ચોરી ઝડપી

ભૂસ્તર વિભાગે એપ્રિલ ૨૦૨૫ દરમિયાન ૪૯ માઈનીંગ કેસો સાથે ૪૮ જેટલા વાહનો કબ્જે કરી કાર્યવાહી કરતા ખનીજ ચોરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે
રાજ્ય સરકાર દ્વારા ખનીજ ચોરીને અટકાવવા માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ભરૂચ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન હેઠળ ભુસ્તરશાસ્ત્રી, ભરૂચની સુચનાથી ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી, ભરૂચની ક્ષેત્રિય તપાસટીમ અને તાલુકા લેવલે મામલતદાર અને તેમની ટીમો દ્વારા એપ્રિલ ૨૦૨૫ દરમિયાન ૪૯ માઈનીંગ કેસો કરીને ૪૮ જેટલા વાહનો કબ્જે કરી કાર્યવાહી રૂ.૮૭ લાખની ખનીજ ચોરી ઝડપી દંડકીય આવક મેળવી છે, ભરૂચ જિલ્લામાં કોઈ પણ પ્રકારની મંજુરી કે સરકારી પરવાનગી વગર બિનઅધિકૃત ખાણકામ, વહન, સંગ્રહ અંગેના કેસો ઘ્યાને આવતા તપાસ હાથ ધરી, ગુજરાત ખનિજ (ગેરકાયદેસર ખાણકામ, હેરફેર અને સંગ્રહ નિવારણ) નિયમો-૨૦૧૭ ના નિયમોની જોગવાઈ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. જે કિસ્સામાં કસુરદાર દંડકીય રકમ ભરપાઇ કરવા રસ ન ધરાવતા હોય તેવા કસુરદારો સામે ધોરણસરની ફરીયાદ દાખલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે વર્ષ દરમિયાનની વિક્રમ જનક આવક બાદ ભૂસ્તરશાસ્ત્રીની સૂચનાથી ખનીજ વિભાગની ક્ષેત્રિય તપાસટીમ દ્વારા ભરૂચ જિલ્લાના અલગ- અલગ વિસ્તારોમાંથી એપ્રિલ ૨૦૨૫ એક જ માસમાં ૪૯ માઈનીંગ કેસ કરી રૂપિયા ૮૭ લાખની માતબર આવક મેળવી છે. જેમાં ૩૭ જેટલી ટ્રકો, ૧૦ જેટલા માઈનિંગ મશીન અને એક એક્સવેટર મશીનની જપ્તી કરી હતી.
ઈરફાનખત્રી
રાજપારડી




