ભરૂચ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અતિવૃષ્ટિથી થયેલા નુકસાનનું વળતર આપવા બાબતે મામલતદારને આવેદનપત્ર પાઠવી રજુઆત કરાઇ…


સમીર પટેલ, ભરૂચ
ભરૂચ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડતોના પાકને થયેલા નુક્સાન બાબતે વળતર આપવા ભરૂચ મામલતદારને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે ચોમાસામાં અનરાધાર વરસેલા વરસાદને પગલે સોરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સહિતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદને પગલે ખેડૂતોના પાકને નુક્સાન થવા પામ્યું છે. જેના કારણે ખેડૂતોને મોટાપાયે નુક્સાન થયું છે. ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય મળે તે માટે પાકનો સર્વે કરાવી ખેડૂતોને સહાય આપવા માંગ કરી હતી.
વધુમાં આવેદનપત્રમાં જણાવ્યું હતું કે દિવાળીના તહેવારો માથા પર હોઇ નુકસાનીનું સર્વે પણ પૂર્ણ થઈ ગયું છતાં પણ ગુજરાતમાં અતિવૃષ્ટિ અને પુર સમસ્યાથી પીડિત એવા ખેડૂતોને આજદિન સુધી સરકારની સહાયના નામે એક પણ રૂપિયાની સહાય મળી ન હોવાના આક્ષેપ કર્યા હતા. નવી ખેતી ઉભી કરવા માટે પણ ખેડૂતોની દયનિય પરિસ્થિતિ છે. ડિજિટલ ઇન્ડિયાની વાતો કરનાર સરકાર ખેડૂતોના ફોર્મ ભરાઇ દિધા છતાં આજદિન સુધી ખેડૂતોને કોઇપણ જાતની સહાય આપવામાં આવી નથી એવા આક્ષેપો કર્યા હતા. ખેતીમાં થયેલા નુકસાનનું વહેલી તકે સહાય આપવામાં આવે તેવી ભરૂચ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા માગ કરવામાં આવી છે.



