ભરૂચ મામલતદાર કચેરી (ગ્રામ્ય) દ્વારા ‘કંચન’ પ્રોજેક્ટ અંતર્ગત ઘરેલુ કચરામાંથી ખાતર બનાવવા અંગેની કાર્યશાળા યોજાઈ



સમીર પટેલ, ભરૂચ
****
૧૦૦થી વધુ નાગરિકોને કમ્પોસ્ટ બીન અને કીટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું
****
ભરૂચ: રવિવાર – પર્યાવરણ જાળવણી અને ‘વેસ્ટ ટુ બેસ્ટ’ના અભિગમને સાર્થક કરવાના ઉમદા હેતુ સાથે જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે મામલતદાર કચેરી ભરૂચ ખાતે પ્રોજેક્ટ ‘કંચન’ અંતર્ગત એક વિશેષ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મામલતદારશ્રી ભરૂચ (ગ્રામ્ય) ના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં ઘરેલુ ભીના કચરામાંથી જૈવિક ખાતર (કમ્પોસ્ટ) બનાવવાની પદ્ધતિ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.
આ પ્રસંગે મામલતદારશ્રી (ગ્રામ્ય) માધવી મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, જો દરેક નાગરિક પોતાના ઘરના સ્તરે જ કચરાનું વ્યવસ્થાપન શરૂ કરે, તો શહેરની સ્વચ્છતામાં મોટો ફેરફાર લાવી શકાય છે. ‘કંચન’ પ્રોજેક્ટનો મુખ્ય લક્ષ્ય કચરાને સંપત્તિમાં ફેરવી પર્યાવરણનું રક્ષણ કરવાનો છે.
નાગરિકોને રસોડાના કચરાને ફેંકી દેવાને બદલે તેનો ઉપયોગ કરીને ઉત્તમ પ્રકારનું ખાતર કેવી રીતે બનાવી શકાય, તે અંગે પ્રત્યક્ષ નિર્દર્શન આપવામાં આવ્યું હતું. તેમજ પ્રોજેક્ટ ‘કંચન’ ને પ્રોત્સાહન આપવા માટે હાજર રહેલા નાગરિકોને ૧૦૦થી વધુ કમ્પોસ્ટ બીન તથા કમ્પોસ્ટિંગ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યશાળામાં ઇનર વ્હીલ ક્લબ ઓફ ભરૂચ તથા મોમ્સ ઓફ ભરૂચ જેવી અગ્રણી સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ, સામાજિક કાર્યકરો અને મોટી સંખ્યામાં ભરૂચના જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.



