નર્મદાના નાંદોદ તાલુકામાં આવેલા ડભેર ગામે નિર્માણાધિન ઈન્ટેકવેલનું મંત્રી કુંવરજી બાવળિયાએ નિરિક્ષણ કર્યું
અંદાજિત રૂપિયા ૨૨૯ કરોડની આ યોજનાના નિર્માણથી ભરૂચ જિલ્લાના આદિજાતિ વિસ્તાર નેત્રંગ-વાલિયા તાલુકાના કુલ ૧૩૬ ગામોને પાણીની સુવિધા ઘર આંગણે ઉપલબ્ધ કરાવાશે
રાજપીપલા : જુનેદ ખત્રી
કરજણ જળાશય આધારિત નેત્રંગ વાલીયા જુથ પાણી પુરવઠા યોજનાની નાંદોદ તાલુકાના ડભેરી ગામે નિર્માણાધિન ઈન્ટેકવેલના પ્રગતિ હેઠળના કામનું ગુજરાત રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રી કુંવરજી બાવળીયાએ જાત નિરિક્ષણ કર્યું હતું.
ગુજરાત રાજ્ય પાણી પુરવઠા મંત્રી બાવળીયાએ સંપૂર્ણ કામગીરીની જાતમાહિતી મેળવીને આયોજનબદ્ધ અને ગુણવત્તાયુક્ત કામગીરીને વધુ વેગવાન બનાવવા માટે અધિકારીઓને કેટલાંક રચનાત્મક સુચનો આપી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. આગામી બે મહિનામાં આ કામગીરી પૂર્ણ કરી યોજના કાર્યાન્વિત કરવા અને લોકોને પાણીની સુવિધા ઝડપભેર ઉપલબ્ધ કરાવવા અધિકારીઓને હિમાયત કરી હતી.
નાંદોદ તાલુકાના નાની ડભેરી ગામે નિર્માણાધિન ઇન્ટેકવેલ થકી પાણી પુરવઠો પપીંગ કરીને મોવી બુસ્ટીંગ પોઇટ પર લઈ જવાશે. ત્યાંથી મુખ્ય હેડ વર્કસ નેત્રંગ તાલુકાના ડેબાર ગામ પાસે બનાવી ૩૫ એમ.એલ.ડી.ના ફિલ્ટર પ્લાન્ટ મારફતે પાણી ફિલ્ટર કરીને નેત્રંગ-વાલીયા યોજનાના ત્રણ (૦૩) પેકેજોમાં બનાવવામાં આવેલા જુદા જુદા ૧૬ સબ હેડ વર્કસ ખાતે પાણી પુરવઠો પહોંચાડવામાં આવશે. તેમજ સબ હેડ વર્કસ પર આવેલી ઉંચી ટાંકી મારફતે જુદા જુદા ગામો અને પરાઓમાં પાઇપલાઇન મારફતે પાણી પુરવઠો ગામના ભુગર્ભ સંપ સુધી પહોંચાડવામાં આવશે. જે પાણી પુરવઠો ગ્રામપંચાયતો દ્વારા ગામલોકો સુધી પહોંચાડવામાં આવશે. જે યોજનાની કામગીરી હાલમાં પ્રગતિમાં છે.
હાલ પ્રગતિ હેઠળની આ યોજના પાછળ રૂપિયા ૨૨૯ કરોડનો અંદાજિત ખર્ચ થશે. આ યોજના હેઠળ ભરૂચ જીલ્લાના આદિજાતી (ટ્રાયબલ) વિસ્તારના નેત્રંગ તાલુકાના ૭૬ ગામો અને ૩૭ ફળીયા તથા વાલીયા તાલુકાના ૬૦ ગામો અને ૩૪ પરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ જુથ પાણી પુરવઠા યોજનાની કામગીરી પુર્ણ થયેથી નેત્રંગ અને વાલીયા શહેરોને ૧૪૦ લીટર/વ્યક્તિ/દિન મુજબ તથા નેત્રંગ અને વાલીયા તાલુકાના તમામ ગામો/ફળીયાને ૧૦૦ લીટર/વ્યક્તિ/દિન મુજબ પાણી પુરવઠો આપવામાં આવશે.
અત્રે નોંધનિય છે કે, હાલમાં નેત્રંગ અને વાલીયા તાલુકાના તમામ ગામો-ફળીયા સ્થાનિક સોર્શ જેવા કે હેન્ડપંપ, બોર અને મીની યોજના મારફતે પાણી પુરવઠો મેળવી રહ્યાં છે. આ તમામ ગામો/પરામાં ઉનાળામાં ભુગર્ભ જળના સ્તર નીચા જવાને કારણે પીવાના પાણીની ગંભીર સમસ્યાઓ ઉદ્દભવે છે. જેના કાયમી ઉકેલ માટે સરફેસ સોર્સ કરજણ ડેમ આધારીત (૧) નેત્રંગ-ડેબાર જુથ પાણી પુરવઠા યોજના પેકેજ-૦૧ (કરજણ ગ્રુપ) (૨) પેકેજ-૦૨ (નેત્રંગ ગ્રુપ) (૩) પેકેજ-૦૩ (વાલીયા ગ્રુપ) હેઠળ તમામ ગામોને આવરી લેવામાં આવ્યા છે. આ યોજના હેઠળ વર્ષ ૨૦૨૦ મુજબ ૧૯,૧૬ MLD અને ભવિષ્યમાં વર્ષ ૨૦૫૦ મુજબ ૩૫ MLD જેટલી પાણીની જરૂરીયાતને ધ્યાને રાખીને નિર્માણ કરવામાં આવ્યું છે.